ગાંધીનગર: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી મુજબ, ગુજરાતમાં મ્યુકર માઇકોસિસના કુલ ૨,૮૫૯ કેસ નોંધાયા છે. જોકે ઘણા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા હોવાથી અને તેમનું રિપોર્ટિંગ થયું ન હોય તેવા કિસ્સામાં આ આંકડો ઘણો વધુ હોઇ શકે છે, કારણ કે રાજ્યમાં ૨૫૦થી વધુ લોકો આ ફૂગજન્ય રોગને કારણે મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં મ્યુકર માઇકોસિસના રોગને કારણે થતો મૃત્યુદર કોરોના કરતાં સાડાત્રણ ગણો વધુ છે.
રિકવરી રેટની દૃષ્ટિએ પણ મ્યુકર માઇકોસિસથી સાજાં થતા દર્દીઓની સામે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા સાડા છ ગણી વધુ છે. કોરોનાનો રિકવરી રેટ ગુજરાતમાં હાલ ૯૧ ટકા જેટલો છે, તેની સામે મ્યુકર માઇકોસિસનો રિકવરી રેટ ૧૪.૩ ટકા જેટલો જ છે. સમગ્ર દેશમાં ૧૧ હજાર કરતાં વધુ કેસ નોંધાયાં છે, તેમાં ગુજરાતમાં સૌથી વધુ કેસ હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની યાદીમાં જણાવાયું છે.