ગાંધીનગર: રાજ્ય સરકારે રાજકોટની પીડીયુ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો. પંકજ બુચના વડપણ હેઠળ એક રાજ્ય સ્તરીય કમીટી બનાવી છે, જેમાં સરકારી હોસ્પિટલોના બાળરોગ નિષ્ણાતો તથા ખાનગી પીડિયાટ્રિશ્યનોનો સમાવેશ કરાયો છે. બાળકો માટેની ખાસ દવાઓ તૈયાર રાખવા ફાર્મા કંપનીઓને સંપર્ક કરી દેવાયો છે.
રાજ્યમાં ત્રીજી લહેર માટે કોરોનાના દર્દીઓ માટે દોઢ લાખ જેટલી પથારી ઉપલબ્ધ બને તેવું આયોજન કર્યું છે. દર્દીઓને દાખલ કરવા માટે આમતેમ ભટકવું ન પડે તે માટે રાજ્યકક્ષાએ કેન્દ્રીકૃત ટ્રેકિંગ અને ડેશબોર્ડ સિસ્ટમ બનશે જેથી કઇ હોસ્પિટલમાં કઇ અને કેટલી પથારીઓ ખાલી છે તે જાણકારી દરેક વ્યક્તિને રીયલ ટાઇમ મળી શકે.
આ ઉપરાંત સરકાર ૭૦૦ મેટ્રિક ટન સુધીનો ઓક્સિજન રીઝર્વ પણ રાખશે જેથી બાળકો ઉપરાંત અન્ય દર્દીઓને જરૂર પડે ઓક્સિજનનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે. બાળકોને સંબંધિત મોટાભાગની જાહેર પ્રવૃત્તિ પર સરકાર પ્રતિબંધ હજુ યથાવત્ રાખવા વિચારી રહી છે.