અમદાવાદઃ કોરોના વાયરસે પગપેસારો કર્યો છે ત્યારથી મોટાભાગના દરેક ક્ષેત્રને મહદ્અંશે અસર પડી છે અને તેમાં એરલાઇન્સનો પણ સમાવેશ થાય છે. કોરોનાના સેકન્ડ વેવ બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને સાંકળતી દરરોજની ૨૦થી વધુ ફ્લાઇટ કેન્સલ થઇ રહી છે. ફ્લાઇટના કેન્સલેશન માટે 'પેસેન્જર લોડ ફેક્ટર' મુખ્ય જવાબદાર પરિબળ છે. અમદાવાદથી રવાના થતી મોટાભાગની ફ્લાઇટમાં સરેરાશ માત્ર ૫૮ ટકા મુસાફરો હોય છે. ફ્લાઇટ કેન્સલ થવા માટે ૭૬.૯૦ ટકા એરલાઇન્સે કોમર્શિયલ કારણ જવાબદાર ગણાવ્યું છે. મતલબ કે, પૂરતા મુસાફરો નહીં મળવા તે ફ્લાઇટ કેન્સલેશન માટે મુખ્ય કારણ છે.
સામાન્ય રીતે રીતે એપ્રિલ-મે દરમિયાન ઉનાળા વેકેશનને પગલે એરપોર્ટમાં પગ મૂકવા માટે પણ જગ્યા હોતી નથી અને અનેક રૂટની ફ્લાઇટ ત્રણ મહિના અગાઉ જ બૂક થઇ જતી હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી તદ્દન વિપરિત સ્થિતિ છે. કોરોનાને કારણે મુસાફરી કરવાનું પ્રમાણ સાવ જ ઘટી ગયું છે. જે વ્યક્તિને ખૂબ જ અગત્યનું કામ હોય તે જ ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે. ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા જારી વિગતો પ્રમાણે ફ્લાઇટ કેન્સલ થવા માટે ૭૬.૯૦ ટકા એરલાઇન્સે કોમર્શિયલ, ૬.૮૦ ટકાએ ઓપરેશ્નલ, ૫.૫૦ ટકાએ ટેક્નિક્લ, ૫.૪૦ ટકાએ હવામાન જ્યારે ૫.૪૦ ટકાએ અન્ય કારણને જવાબદાર ગણાવ્યું છે.
પૂરતા મુસાફરો નહીં મળવાથી અનેક એરલાઈન્સને ફ્લાઇટ કેન્સલ કરવા ફરજ પડી રહી છે. છેલ્લા બે સપ્તાહથી અમદાવાદથી ઉપડતી દરરોજની સરેરાશ ૧૨થી ૧૪ ફ્લાઇટને પૂરતા મુસાફરો નહીં મળવાથી કેન્સલેશનનો સામનો કરવો પડયો છે. હાલમાં અનેક એરલાઇન્સે તેમના રૂટ ઘટાડવા પણ નિર્ણય લીધો છે.