ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં એક્ટિવ કેસમાં ૭૫ ટકાથી વધુનો ઘટાડો

Wednesday 02nd June 2021 05:51 EDT
 
 

અમદાવાદ: ગુજરાતમાં બરાબર એક મહિના અગાઉ કેર વર્તાવી રહેલા કોરોના વાયરસની હવે પાછી પાની શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં કોરોનાથી દૈનિક મરણાંક ૨૦થી નીચે નોંધાયો હોય તેવું ૫૫ દિવસ બાદ પ્રથમવાર બન્યું છે. એક મહિના અગાઉ ૩૦ એપ્રિલના ગુજરાતમાં ૧,૪૨,૦૪૬ એક્ટિવ કેસ હતા અને તે હવે ઘટીને ૩૨,૩૪૫ થઇ ગયા છે. આમ, એક મહિનામાં એક્ટિવ કેસમાં ૭૫ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.
હાલમાં ૪૯૬ દર્દી વેન્ટિલેટર પર છે. મે મહિના દરમિયાન રાજ્યમાં કોરોનાથી કુલ ૨,૪૧,૩૯૨ વ્યક્તિ સંક્રમિત થઇ હતી- અને ૨,૬૫૦ના મૃત્યુ થયા છે, જ્યારે ૩,૪૮,૨૪૩ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. ૩૦ એપ્રિલે રાજ્યમાં રીક્વરી રેટ ૭૩.૭૨ ટકા હતો અને તે વધીને હવે ૯૪.૭૯ ટકા છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન વડોદરા શહેરમાં ૨૧૨-ગ્રામ્યમાં ૧૧૫ સાથે સૌથી વધુ ૩૧૭ નવા કેસ સામે આવ્યા છે. કુલ કેસનો આંક હવે વડોદરામાં ૭૫,૧૨૨ છે. અમદાવાદ શહેરમાં ૨૬૪-ગ્રામ્યમાં ૬ સાથે ૨૭૦, સુરત શહેરમાં ૧૫૫-ગ્રામ્યમાં ૬૨ સાથે ૨૧૭, રાજકોટ શહેરમાં ૮૨-ગ્રામ્યમાં ૪૫ સાથે ૧૨૭ કેસ નોંધાયા છે. આમ, માત્ર આ ચાર જિલ્લા જ એવા છે જ્યાં દૈનિક કેસ ૧૦૦થી વધુ નોંધાયા છે. રાજ્યમાંથી છેલ્લા કલાક દરમિયાન જ્યાં વધુ કેસ નોંધાયા છે તેમાં ૮૮ સાથે જુનાગઢ, ૭૧ સાથે પોરબંદર, ૬૫ સાથે જામનગર, ૪૪ સાથે નવસારી, ૪૧ સાથે ભરુચ, ૩૬ સાથે આણંદ, ૩૪ સાથે પંચમહાલ, ૩૩ સાથે ખેડા, ૩૨ સાથે વલસાડ, ૩૦ સાથે બનાસકાંઠા-કચ્છ, ૨૮ સાથે અમરેલી, ૨૨ સાથે ભાવનગર-દેવભૂમિ દ્વારકા, ૨૧ સાથે ગાંધીનગર-સાબરકાંઠાનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૪, વડોદરામાંથી ૩, સુરતમાંથી ૨ એમ રાજ્યભરમાંથી કુલ ૧૮ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક અમદાવાદમાં હવે ૩,૩૩૯-સુરતમાં ૧,૯૧૧-વડોદરામાં ૭૬૮ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૯૪૮, વડોદરામાંથી ૫૪૮, સુરતમાંથી ૩૮૧, રાજકોટમાંથી ૩૩૫ એમ રાજ્યભરમાંથી ૪૭૨૧ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. વધુ ૯૧,૯૦૫ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૨.૧૬ કરોડ છે. રાજ્યમાં હાલ ૧,૭૩,૪૯૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.


comments powered by Disqus