ચોમાસા પહેલા જ નર્મદામાં પાણીની આવક થતા બે કાંઠેઃ ૧૨ કિમીનું સરોવર ભરાયું

Wednesday 02nd June 2021 07:47 EDT
 
 

કેવડિયાઃ રાજ્યમાં વહેલા અને સારા ચોમાસાની આગાહી વચ્ચે નર્મદા નિગમ સજ્જ બની ગયું છે. અને આ વર્ષે રાજ્યની જીવાદોરી સરદાર સરોવરને પુનઃ ૧૩૮.૬૮ મીટર સુધી છલોછલ ભરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. હાલ સરદાર સરોવરમાં ૨૦૩૭ મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો ભરેલો છે. અને જળ સપાટી ૧૨૪.૫૨ મીટરે છે. ત્યારે તંત્ર દ્વારા હાલ રીવરબેડ પાવર હાઉસના ૨ ટર્બાઇનો ૨૪ કલાક ચાલવામાં આવી રહ્યા છે. જેનાથી નર્મદા નદીમાં ૩૧ હજાર કયુસેક પાણી છોડવામાં આવતા ચોમાસા પહેલા જ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. અને ગોરા બ્રીજ પણ ડૂબી ગયો છે. એટલે હવે નર્મદા નદીમાં પાણી ભરાતા આગામી દિવસોમાં ક્રુઝ બોટ ફરી ચાલુ થશે એવી શક્યતાઓ જોવા મળી રહી છે.
હાલ નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશના ડેમોમાંથી ૧૩૦૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જોકે આ સામાન્ય છે પણ સરદાર સરોવરમાં સંગ્રહીત પાણીનો જથ્થો પણ ખૂબ વધુ પ્રમાણમાં છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે અને હાલ સપાટી ૧૨૪.૫૨ મીટર છે. એટલે એમ કહી શકાય કે ૧૪ મીટર જેટલું સરોવર ખાલી છે. અને આવતા ચોમાસામાં ભરાવવાનું છે. જોકે તંત્રને એની ચિંતા નથી કેમકે સરદાર સરોવર આ સિઝનમાં પણ સંપૂર્ણ ભરાવવાનો નક્કી છે. નર્મદા કેનાલમાં ૧૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના થકી રાજ્યમાં પીવાનું સિંચાઈનું પાણી પહોંચાડી શકાય અને વરસાદની શરૂઆત થશે ત્યારે માંડ ૫ થી ૬ મીટર પાણી ઓછું થશે.


comments powered by Disqus