જખૌ બંદરે સતત બીજા વર્ષે કોરોનાએ સીઝન બગાડી

Wednesday 02nd June 2021 07:45 EDT
 
 

જખૌઃ કચ્છના જખૌ બંદરને કોરોનાનું ગ્રહણ નડયું છે. દેશ વિદેશમાં માછલીઓની નિકાસ માટે પ્રસિદ્ધ તેમજ કરોડો રૂપિયા વિદેશી હુડીયામણ કમાવી આપતા બંદર પર બોટોની સંખ્યામાં કોરોનાને કારણે ઘટાડો થયો છે. છેલ્લા બે વર્ષથી માછીમારીની સીઝનને કોરોના વાયરસની મહામારી નડી છે. આ બંદર પરથી માછીમારોને પ્રખ્યાત માછલીઓ જેવી કે માતો (લોબેસ્ટર) પ્રાઉન્સ (જિંગા), પાપ્લેટ, ગોલ્ફીસ, જેલીફિશ, મતી, પલી, બાગડા, સુરમઈ, રાવસ, કરચલા (બુબલા) તેમજ વિવિધ પ્રકારની માછલીઓ માટે પ્રખ્યાત છે.
ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી માછીમારો સીઝન દરમિયાન માછીમારી માટે આવે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ ૨૦૧૯-૨૦માં નાના-મોટા અંદાજે ૧૨૦૦ જેટલા વાહનો માછીમારી કરતા હતા, જે વર્ષ ૨૦૨૦-૨૧માં નાના મોટા વાહનો અંદાજે ૮૦૦ જેટલા રહી ગયા હતા. દર વર્ષેની જેમ આ વર્ષે પણ બોટો ચડાવવાની કામગીરી એપ્રિલ મહિનામાં ચાલુ છે. વહેલી બોટો બંધ કરવાનું કારણ એક તો માછલીઓનો જથ્થો માર્ચ મહિનાથી ખૂબ મોટા પ્રમાણમાં ઘટી જાય છે અને બીજો મોટો કારણ પવનનો ખૂબ જોર રહેતો હોવાથી દરિયો તોફાની બની જાય છે. જેથી મોટી બોટો દ્વારા દરિયો ખેડાતો નથી અને માછીમારીનો ધંધો બંધ કરવો પડે છે. માછીમારી પ્રતિબંધિત જાહેરનામું ફિશરીઝ કમિશ્નર દ્વારા કરાયું હતું. અગાઉ માછીમારીની સીઝન ૧૦ જૂનથી ૧૫ઓગસ્ટ સુધી યાંત્રિક વાહનો માટે પ્રતિબંધ હતો જે વર્ષ ૨૦૨૦માં ફેરવીને ૧જૂન થી ૧ઓગસ્ટ કરવામાં આવ્યો છે જેથી જખૌ બંદર ઉપર માછીમારી હાલમાં યથાવત છે. જો કે, અનેક મોટી બોટોને હાલમાં જેટ્ટી ઉપર ચડાવવામાં આવી છે.


comments powered by Disqus