પાટડીઃ દેશના કુલ મીઠા ઉત્પાદનનું ૭૫ ટકા મીઠું પકવતા ગુજરાતનાં રણમાં આ વ્યવસાય સાથે જોડાયેલા ૧૫૦૦૦ અગરિયા પરિવારો સુધી હજી કોરોના પહોંચ્યો નથી. રણમાં આગ ઓકતી ગરમીમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ અને આકરી મહેનત સાથે મીઠું પકવતા અગરિયાઓની ઇમ્યુનિટી પાવર સારો હોવાનું ખુદ આરોગ્ય વિભાગનું માનવું છે. ગામડાઓમાં કોરોનાનો કહેર છે તોય મીઠું પકવતા અગરિયાઓ રણ ખાલી કરવા તૈયાર નથી.
કોરોનાની બીજી અને ઘાતક લહેરે શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય પથંકમાં પણ પગ પેસારો કરી હાહાકાર મચાવ્યો છે. વર્ષના આઠ મહિના મીઠું પકવતા અગરિયાઓ રાત-દિવસ મીઠું પકવવાનું આકરૂ કામ કરતા હોવાથી એમની ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોવાની સાથે રણમાં કાળઝાળ ગરમીમાં અગરિયાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મીઠું પકવતા હોવાથી કોરોના વાયરસ નહિવત અસર કરે છે. અને આ અગરિયાઓ રણમાં એકદમ પ્રાકૃતિક વાતાવરણમાં મીઠું પકવવાનું આકરૂ કામ
કરે છે.
રણમાં મીઠું પકવતા અગરિયાઓ ૪૬થી ૪૮ ડીગ્રીમાં પણ મીઠું પકવવાની આવડત સાથે તેઓ રણમાં આખો દિવસ ગરમ કાવો (દૂધ વગરની ચા) જ પીતા હોય છે. રણમાં એમના ઝુંપડા એકબીજાના ઝુંપડાથી અંદાજે એક કિમીના અંતરે આવેલા હોવાથી રણમાં મીઠું પકવતા અગરિયાઓમાં સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ફરજીયાત થઇ જાય છે. લગભગ તમામ દેશોને હંફાવનારો ઘાતક કોરોના રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાય સુધી પહોંચતા ખુદ હાંફી ગયો છે. રણમાં મીઠું પકવતા એક પણ અગરિયાને પોઝિટિવ આવ્યાના વાવડ નથી.
રાત-દિવસ લૂ ઓકતી ગરમીમાં હાર્ડની ગાળી નાખે તેવી મજૂરી કરી મીઠું પકવતાં અગરિયાઓની રોગપ્રતિકારક શક્તિ પાવરફૂલ હોવાના કારણે કોરોના જેવી બીમારી હજુ સુધી તેઓને સંક્રમિત કરી શકી નથી.