મંદિરના સેવકે સાત મહિલાને ગર્ભગૃહમાં ભગવાનના ચરણસ્પર્શ કરાવતા વિવાદ

Wednesday 02nd June 2021 07:05 EDT
 

ખેડાઃ જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં વૈશાખી પૂનમના પવિત્ર દિને એક ઐતિહાસિક વિવાદ સામે આવ્યો છે. મંદિરના સેવકે તેમના પરિવારની સાત મહિલાઓને ગર્ભગૃહમાં જવા દઇને ભગવાનના ચરણ સ્પર્શ કરાવતાં ભક્તોમાં ભગવાનને અભડાયા હોવાની લાગણી ફેલાઇ છે. કોરોના જાહેરનામાનો પણ ભંગ થતાં મામલો ઉગ્ર બનીને પોલીસ મથકે પહોંચ્યો હતો.
મંદિરમાં બંધ બારણે ઠાકોરજીની સેવાપૂજા પૂરી થયા પછી ૯:૩૦ કલાકની આસપાસ ભગવાનની સેવામાં રહેલા પરેશભાઇ સેવકે તેમના પરિવારની સાત મહિલાઓને ગર્ભગૃહમાં પ્રવેશ અપાવીને ઠાકોરજીના દર્શન કરાવ્યા હતા. મહિલાઓએ ભગવાનના ચરણ સ્પર્શ કર્યાં હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતાં ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ હતી. પૂર્ણિમાને દિવસે જ પવિત્ર તીર્થસ્થળ ડાકોર સમંદિરના ઇતિહાસમાં કદી ન બની હોય તેવી ઘટના બનતાં ડાકોરવાસીઓમાં ઉચાટ ફેલાઇ ગયો હતો. બીજી તરફ કોરોના મહામારીને ખાળવા જિલ્લા જાહેરનામું અમલી છે. સેવકે સાત મહિલાઓને પ્રવેશ અપાવીને કલેક્ટરના જાહેરનામાંનું પણ ઉલ્લંઘન કરી ગુનો કર્યો હોવાનો બળાપો ડાકોરવાસીઓ ઠાલવી રહ્યાં હતા.


comments powered by Disqus