નવીદિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યાસ તોફાનથી પ્રભાવિત ઓડિશા અને પ.બંગાળનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. સાથે જ બંને રાજ્યોના મુખ્યપ્રધાન અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. મોદી સાથે બેઠકમાં તૃણમૂલ છોડીને ભાજપના ધારાસભ્ય બનેલા સુવેન્દુ અધિકારી તથા રાજ્યપાલ જગદીપ ધનખડ હાજર હતા. સીએમ મમતા બેનરજી અને મુખ્ય સચિવ એ જ પરિસરમાં હાજર હતા છતાં ૩૦ મિનિટ સુધી બેઠકમાં આવ્યા નહોતા. વિલંબથી આવ્યા પછી સીએમ મમતા બેનરજીએ તોફાનના નુકસાનનો એક રિપોર્ટ પીએમને સોંપ્યો હતો. પછી મમતા અને તેમના અધિકારીઓ એવું કહીને બહાર નીકળી ગયા હતા કે તેમને અન્ય એક જરૂરી મીટિંગમાં જવાનું છે. મમતાએ કહ્યું કે મને બીજી મીટિંગ હોવાનો પહેલેથી ખ્યાલ નહોતો. પીએમને મેં નુકસાનનો રિપોર્ટ આપ્યો. ૨૦ હજાર કરોડનું પેકેજ માગ્યું છે પછી તેમની મંજૂરી લઈ નીકળી હતી. સૂત્રોએ કહ્યું કે સુવેન્દુની હાજરીથી તેઓ ખફા હતા.