રાજ્યમાં ડિસેમ્બર સુધી તમામ નાગરિકોને રસી આપવાનો સરકારનો લક્ષ્યાંક

Wednesday 02nd June 2021 06:44 EDT
 

ગાંધીનગર: ગુજરાત સરકારે મંગાવેલા રસીના ડોઝ જૂન મહિનાના પહેલા પખવાડીયા બાદ નિયમિત રીતે મોટા પ્રમાણમાં મળવાની શરૂઆત થઇ શકે છે. આથી રાજ્યમાં ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથના લોકોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ કે જૂલાઇના પ્રથમ સપ્તાહથી શરૂ થઇ શકે છે. હાલ રાજ્યમાં માત્ર ૧૦ શહેરો અને જિલ્લાઓમાં જ ૧૮ થી ૪૫ વર્ષના લોકો માટે રસીકરણ ચાલી રહ્યું છે.
જૂનના બીજા સપ્તાહ બાદ ગુજરાતને નિયમિત રીતે રસીનો જથ્થો વધુ પ્રમાણમાં મળતો થશે પછી રસીની ખેંચ ઘણી ઓછી થશે. હાલ આ ઉંમરના લોકો માટે એક સપ્તાહમાં સાતથી દસ લાખ જેટલાં ડોઝની સરેરાશથી જથ્થો પ્રાપ્ત થઇ રહ્યો છે, જે આવનારાં સમયમાં બમણાંથી વધુ થશે. તેથી રાજ્યના બાકીના તમામ વિસ્તારોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં કે જૂલાઇના પ્રથમ સપ્તાહથી શરૂ થઇ શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં કોવેક્સિન અને કોવિશીલ્ડ ઉપરાંત બીજી રસીઓ મળવાની શરૂઆત પણ તે દરમિયાન થઇ શકે છે. જેથી રસીકરણ વધુ તેજ બનાવી શકાશે. હાલ ગુજરાત સરકાર દૈનિક ૧ લાખ લોકોને રસી આપવાના ટાર્ગેટ સાથે ચાલી રહી છે, અને જો વધુ ડ઼ોઝ મળતાં થાય તો તે સરેરાશ ૩ થી ૪ લાખ સુધી લઇ જઇ શકાય. જુલાઇ મહિનાથી રાજ્યના તમામ વિસ્તારોમાં ૧૮થી ૪૫ વર્ષના લોકો માટે રસીકરણ શરૂ થાય તો ત્રણ મહિનામાં એટલે કે સપ્ટેમ્બર માસ સુધીમાં ૫૦ ટકા લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાનું લક્ષ્યાંક છે. સંભવિત ત્રીજી લહેર આગામી ઓક્ટોબર મહિના દરમિયાન આવી શકે તેવી ચેતવણી જોતાં સપ્ટેમ્બર માસ સુધીમાં આટલું રસીકરણ થઇ જાય તો તેની વિપરીત અસરો ઓછી પડી શકે છે. જો કે ચાલું વર્ષના અંતે ગુજરાતમાં રસીકરણ સંપૂર્ણ થઇ ગયું હશે તેવું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાત સરકારે ચાર ખાનગી હોસ્પિટલો દ્વારા પેઇડ રસીકરણની મંજૂરી આપી છે. હજુ સરકાર આ માટે વધુ હોસ્પિટલોને નિયુક્ત કરવા વિચારી રહી છે જેથી કરીને સરકારી રસીકરણ પરનું ભારણ ઓછું થશે અને વધુ ઝડપથી વધુ લોકો રસી લઇ શકશે.


comments powered by Disqus