નવીદિલ્હીઃ દેશભરમાં કોરોના મહામારીના વધી રહેલા કેસને ધ્યાનમાં લેતાં ઉત્તરાખંડ સરકારે ૧૪મી મેથી શરૂ થનારી ચાર ધામ યાત્રા પર રોક લગાવી દીધી છે.
ઉત્તરાખંડમાં આવેલા ચાર યાત્રાધામ કેદારનાથ, બદરીનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ નિયત તારીખોએ ખુલશે પરંતુ ફક્ત પૂજારીઓ જ આ ધામોમાં પૂજા અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શક્શે.
આ અંગેની જાહેરાત કરતાં મુખ્યમંત્રી તિરથસિંહ રાવતે પત્રકારોને જણાવ્યું હતું કે, કોરોનાના વધી રહેલા કેસના કારણે શ્રદ્ધાળુઓને ચાર ધામની યાત્રા કરવાની પરવાનગી અપાશે નહીં.
ફક્ત પૂજારીઓ જ પૂજા અને અન્ય વિધિઓ કરી શક્શે. સ્થાનિક લોકોને પણ ચાર ધામના મંદિરોમાં પ્રવેશ અપાશે નહીં. આ વર્ષે યમુનોત્રીના કપાટ ૧૪ મેના રોજ બપોરે ૧૨.૧૫ કલાકે, ગંગોત્રીના કપાટ અક્ષય તૃતિયાના પ્રસંગે ૧૫ મેના રોજ સવારે ૭.૩૦ કલાકે, કેદારનાથના કપાટ ૧૭ મે અને બદરીનાથના કપાટ ૧૮ મેના રોજ ખોલાશે.