નવીદિલ્હીઃ કોરોનાના વધી રહેલા સંક્રમણ અને હોસ્પિટલોમાં બેડ તથા ઓક્સિજનની અછતના મામલે દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, પાણી હવે માથા પરથી ઉપર જતું રહ્યું છે. હવે અમે નક્કર કામગીરી ઇચ્છીએ છીએ. હવે કેન્દ્ર સરકારે જ બધી વ્યવસ્થા ગોઠવવી પડશે.
એક તરફ દિલ્હી હાઇકોર્ટમાં હોસ્પિટલોમાં પ્રવર્તતી ઓક્સિજનની અછત અંગે સુનાવણી ચાલી રહી હતી ત્યારે જ રાજધાનીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજન ખલાસ થતાં ૮૦ મિનિટ સુધી પૂરવઠો ખોરવાતાં આઇસીયુમાં કોરોનાની સારવાર લઇ રહેલા સીનિયર ડોક્ટર સહિત ૧૨ દર્દીનાં કરૂણ મોત થયાં હતાં.