ન્યૂ યોર્કઃ ભારતમાં કોવિડથી થતાં દૈનિક મૃત્યુ સત્તાવાર સંખ્યા કરતાં પાંચ ગણા વધારે અને લગભગ ૧૦,૦૦૦ હોવાનું બ્રાઉન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન ડો. આશિષ ઝાએ ૨૭મી એપ્રિલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
ભારતમાં કોવિડ સંબંધિત મૃત્યુનો સત્તાવાર દૈનિક આંક લગભગ ૨,૦૦૦ બતાવાય છે. દેશમાં હાલ મહામારીનું બીજું તીવ્ર મોજું ચાલી રહ્યું છે. હોસ્પિટલોમાં બેડ, સારવાર, વેન્ટિલેટર અને સૌથી મહત્ત્વનો ઓક્સિજન ખૂટી પડ્યો છે.
કોવિડના નિષ્ણાતો પૈકીના એક ભારતીય અમેરિકન ફિઝિશીયને જણાવ્યું હતું કે ભારતમાં હાલ ખૂબ મુશ્કેલી છે. સંક્રમણના દરરોજ થતાં નવા કેસીસની સંખ્યાની ધરાર અવગણના કરવામાં આવે છે, જે સહેલાઈથી દરરોજની એક મિલિયન જેટલી હશે.
તેમણે ઉમેર્યું કે ટેસ્ટ પોઝિટિવીટીનો દર ૩૦ થી ૪૦ ટકા છે. ટેસ્ટ કરાતા દર ત્રણમાંથી એક વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોય છે. સંક્રમણના નવા કેસો પૈકી ૨૦ ટકા ભારતના ડબલ મ્યુટન્ટ વેરિયન્ટના છે તે ખૂબ ચેપી અને ઘાતક છે. વેક્સિનેશનનો દર ખૂબ ઓછો છે. ભારતમાં ૧૦ ટકા કરતાં ઓછા લોકોએ વેક્સિન લીધી છે. ઝાએ જણાવ્યું કે નાના શહેરોમાં સ્થિતિ વધુ ખરાબ હોઈ શકે.નાના શહેરો અને ગામોમાં કેવી પરિસ્થિતિ છે તેની માહિતી મળી શકે તેમ નથી.
જહોન હોપકિન્સ યુનિવર્સિટીની માહિતી મુજબ ૨૬ એપ્રિલ સુધીમાં ભારતમાં વધુ ૧૭ મિલિયન કેસ નોંધાયા હતા અને ૧૯૮,૦૦૦ મૃત્યુ થયા હતા. ઝાએ જણાવ્યું કે જાહેર સ્વાસ્થ્ય સલામતી અંગેના નિયમોમાં ભારે છૂટ જણાતી હતી. રાજકીય રેલીઓ, સ્પોર્ટ્સ ઈવેન્ટ અને કુંભમેળામાં હજારો લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.