નવીદિલ્હીઃ કોવિડ -૧૯ના બીજા મોજા વચ્ચે ચૂંટણી યોજવાને મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પંચ માટે કરેલી મૌખિક ટિપ્પણી સામે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી છે.
મદ્રાસ હાઇકોર્ટે ૨૬ એપ્રિલના રોજ મૌખિક ટિપ્પણી કરી હતી કે કોવિડ સંક્રમણના વધી રહેલા કેસો વચ્ચે રાજકીય રેલીઓ ના અટકાવવા બદલ ચૂંટણી પંચના અધિકારીઓ સામે હત્યાનો કેસ દાખલ કરવો જોઇએ.
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને શનિવારે જણાવ્યું હતું કે મદ્રાસ હાઇકોર્ટે સદંતર અપમાનજનક મૌખિક ટિપ્પણી કરી હતી.
ચૂંટણી પંચે પોતાની અરજીમાં જણાવ્યું છે કે એક સ્વતંત્ર બંધારણીય સત્તા હોવા છતાં મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પંચ જેવી એક બીજી સ્વતંત્ર બંધારણીય સત્તા પર કોઇ ઠોસ કારણ વિના ગંભીર આક્ષેપ કર્યા હતા. તેને કારણે બંને સંસ્થાને નુકસાન થયું છે.