જામનગર: ૨૩૦ બેડ સાથેની ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલનું ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગરની ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં ઇ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિક્રમજનક રીતે એક સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં ૪૦૦ બેડની કોવિડ કેર સુવિધા જામનગરમાં ઊભી કર્યા બાદ, આ નવી અત્યાધુનિક પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલ રિલાયન્સ ફાઉન્ડેશનની વધુ એક મહત્વપૂર્ણ સિધ્ધિ છે.આ પ્રસંગે તેમની સાથે રાજ્યના પ્રધાનો, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો તેમજ ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશન કોરોનાના રોગચાળા સામેની દેશની લડતમાં અગ્રેસર રહ્યું છે અને તેના તમામ કર્મચારીઓ, તેમના પરિવારો અને સમગ્ર સમાજને મદદ કરવા અને તેમને આ ઝડપથી ફેલાતા રોગચાળા સામે રક્ષણ આપવા માટે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી છે. કોરોના કાળમાં કોવિડ અસરગ્રસ્તો માટે નિઃશુલ્ક હોસ્પિટલ સ્થાપવા ઉપરાંત, લગભગ સાત કરોડ જરૂરીયાતમંદોને ભોજન સેવા પૂરી પાડવામાં આવી તથા આ રોગચાળાનો સામનો કરવા માટે સામૂહિક રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગરમાં આવેલી ૨૩૦ બેડની ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલમાં ૩૦ ચિલ્ડ્રન આઇ.સી.યુ, ૧૦ નિયો-નેટલ આઇ.સી.યુ.ની સાથે વધારાનાં ૨૨ મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ અને ૧૦ અત્યાધુનિક વેન્ટીલેટરનો સમાવેશ થાય છે.