અમરેલીઃ લાઠી તાલુકાના પાદરશિંગા ગામના ખેડૂત સંજય પોલરાએ ગુરુવારે (7 નવેમ્બર) પોતાની કારને સમાધિ આપી હતી. આ કાર લીધા બાદ આર્થિક સમૃદ્ધિ આવી હોઈ, ભંગારમાં વેચવા કે બીજા કોઈને આપવા કરતાં પોતાની જમીનમાં તેને સમાધિ આપી કાયમી યાદગીરી બનાવી લીધી હતી.
કાર આવ્યા બાદ આર્થિક સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા વધી
ખેડૂત સંજય પોલરાએ વર્ષ 2013-14મા એક કાર ખરીદી હતી. તેઓ ગામમાં મકાન અને સીમમાં ખેતીની જમીન ધરાવે છે અને બાદમાં ધંધાર્થે સુરત પણ ગયા હતા. તેઓ માને છે કે, આ કાર તેમના માટે લક્કી છે અને તેના આવ્યા બાદ અમે સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા મેળવી. આ કાર જૂની હોઈ એને વેચી નાખવાની કે ભંગારમાં આપી દેવાના બદલે શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ આપવાનો તેમણે નિર્ણય કર્યો હતો.
આ સમાધિ કાર્યક્રમ પાછળ મેં રૂ. 4 લાખનો ખર્ચ કર્યો છે. આ પ્રસંગે 1500 લોકોનો જમણવાર કર્યો. કારને સન્માન આપવા સમાધિસ્થળે વૃક્ષ વાવવાનો પણ નિર્ણય કર્યો છે.

