અમદાવાદઃ ગુજસેલના તત્કાલીન સીઈઓ કેપ્ટન અજય ચૌહાણ સહિત ત્રણ વ્યક્તિ સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ મામલે એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા ગુનો દાખલ કરાયો છે. કેપ્ટન અજય ચૌહાણે પોતાની ફરજ દરમિયાન સત્તાનો દુરુષયોગ કરી સરકારી તિજોરીને નુકસાન કર્યું હોવાનું એસીબીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બુધવારે એસીબી પોલીસ સ્ટેશનમાં પૂર્વ ગુજસેલ સીઈઓ અજય કરણસિંહ ચૌહાણ, કેશમેક એવિએશન પ્રા.લિ.ના ડાયરેક્ટર અલ્પેશ રાજેશભાઈ ત્રિપાઠી અને ગુજસેલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા અલ્પેશકુમાર નટવરલાલ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. પ્રાથમિક દૃષ્ટિએ અજય ચૌહાણ અને તેની ટોળકીએ રૂ. 72 લાખથી વધુનો ભ્રષ્ટાચાર આચરી સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડ્યાનું એસીબીના ધ્યાને આવ્યું છે. કેપ્ટન અજય ચૌહણ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થશે તે માટે સીએમઓની મંજૂરી લેવાઈ ચૂકી છે.

