નવી દિલ્હીઃ ભારતના સંવિધાનને અપનાવવાના 75 વર્ષે મંગળવારે જૂના સંસદના સંવિધાન સદનમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુંું. રાષ્ટ્રપતિ મુર્મૂએ સંવિધાન દિવસની 75મી વર્ષગાંઠ પર રૂ. 75નો વિશેષ સિક્કો જાહેર કર્યો. આ દરમિયાન એક ટપાલ ટિકિટ પણ જાહેર કરાઈ. આ ટપાલ ટિકિટ સંવિધાનની એ મૂળ ભાવનાનું પ્રતીક છે, જે ભારતને એકજૂથ રાખે છે અને સૌકોઈને આગળ વધવાનો માર્ગ દર્શાવે છે. આ અવસરે રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય કક્ષથી સંવિધાનના મૈથિલી અને સંસ્કૃત સંસ્કરણનાં પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું.
રાષ્ટ્રપતિનું સંબોધન
રાષ્ટ્રપતિએ મંગળવારે 26 નવેમ્બરે સંવિધાન દિવસ નિમિત્તે સંસદના બંને સદનને સંબોધિત કરતાં જણાવ્યું કે, સંવિધાન આપણા દેશનો સૌથી મોટો પવિત્ર ગ્રંથ છે. આજે આપણે સૌ આ ઐતિહાસિક અવસરના સાક્ષી બન્યા છીએ. 75 વર્ષ પહેલાં આ જ સદનમાં સંવિધાન સભા દ્વારા સંવિધાન નિર્માણનું મોટું કાર્ય સંપન્ન કરાયું હતું અને ભારતના લોકોએ તેને અપનાવ્યું હતું. આપણું સંવિધાન આપણા વ્યક્તિગત અને સામૂહિક સ્વાભિમાનને સુનિશ્ચિત કરે છે.

