અમદાવાદઃ દુબઈમાં ભારે વરસાદને કારણે દુબઈથી જતી-આવતી તમામ ફ્લાઇટ ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી હતી. તેથી મુસાફરો પરેશાન થયા હતા. અચાનક 23 એપ્રિલે મુંબઈથી યુકે જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ રદ થતાં સંખ્યાબંધ મુસાફરો અટવાયા હતા. સંચાલકો દ્વારા અગાઉથી કોઈ મુસાફરને જાણ પણ કરવામાં આવી નહોતી. હદ તો ત્યારે થઈ કે અમદાવાદથી કનેક્ટ ફલાઇટમાં યુકે જવાવાળા મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા અને બોર્ડિંગ કરાવી રહ્યા હતા, ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી કે સાડા નવ વાગ્યે ટેકઓફ કરવાવાળી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ રદ થઈ છે. ફ્લાઇટ રદ થતાં અનેક લોકોને કાર્યક્રમ રદ કરવાની નોબત ઊભી થઈ છે.
સામાન્ય સંજોગોમાં બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ મુસાફરોને અગવડ ન પડે તેની ખાસ તકેદારી રાખતી હોય છે, ત્યારે જ મુસાફરોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર જ મુંબઈથી યુકે જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ રદ કરાઈ હતી. જેને પગલે એરપોર્ટ પર પહોંચેલા મુસાફરોને પરત ફરવાની નોબત આવી હતી.

