અમદાવાદઃ ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલા કેસ પૈકી ગુજરાતમાં પ્રથમ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. ભાજપના પૂર્વ નેતા ગોરધન ઝડફિયાની હત્યાનો પ્રયાસ કરનારા ઇરફાન શેખને ગુજસીટોકના ખાસ જજ અને અમદાવાદ ગ્રામ્યના પ્રિન્સિપલ જજ કે.એમ. સોજિત્રાએ ગુનેગાર ઠરાવી 5 વર્ષની સજા ફટકારી છે. જ્યારે અન્ય આરોપી સદેશ ખરાડને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યો છે.
કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો પુરવાર થયો છે. ત્યારે આરોપી સામે દયા દાખવી ન શકાય. છોટા શકીલના ઇશારે તત્કાલીન ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યા કરવા શાર્પશૂટર ઇરફાન શેખને કહેતાં તેણે હત્યા માટે કાવતરું ઘડ્યું હતું. આ અંગે ગુજરાત એટીએસને 19 ઓગસ્ટ 2020ની રાત્રે એક હોટેલમાં ઝડફિયાની હત્યા કરવા આવેલા આરોપીઓ રોકાયા હોવાની બાતમી મળી હતી, જેના આધારે એટીએસ અને ક્રાઇમબ્રાન્ચે તેમને ઝડપ્યા હતા.

