ગાંધીનગરઃ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં શરૂ કરવામાં આવેલી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા પ્રમુખ તરીકે દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહ પરમારની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રેરિત પ્રજાશક્તિ પાર્ટીએ આ ચૂંટણી લડવાનું એલાન કર્યું છે.
શંકરસિંહ વાઘેલાએ આ અંગે જણાવ્યું કે, મારી બે જ પાર્ટી હતી, પહેલા ભાજપ અને કોંગ્રેસ. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો હું સભ્ય પણ નથી. રાજપાનું વિલિનીકરણ કોંગ્રેસમાં થઈ ગયું અને એનસીપી તો પ્રફુલ્લ પટેલ ફૂટી ગયા એટલે શરદ પવારને પાછું આપી દીધું. મેં પાર્ટીઓ છોડી છે. ભાજપનો સૂર્ય મધ્યાહને હતો ત્યારે છોડી અને કોંગ્રેસ સરકાર બનાવવાની હતી ત્યારે છોડી. કોઈ લાલચમાં ક્યારેય પાર્ટીમાં ગયા નથી અને છોડી નથી. રિદ્ધિરાજસિંહ પરમારે કહ્યું કે, 22 ડિસેમ્બરે અડાલજમાં પાર્ટીનું કાર્યાલય શરૂ કર્યા બાદ સંગઠનની જાહેરાત કરવામાં આવશે.

