બીઝેડ કૌભાંડમાં રોકાણ બદલ ગિલ સહિતના 4 ભારતીય ક્રિકેટર્સને સીઆઇડીનું તેડું

Wednesday 08th January 2025 04:33 EST
 
 

અમદાવાદઃ તાજેતરમાં કરોડો રૂપિયાના બીઝેડ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા સીઆઇડી ક્રાઇમ પાસે રિમાન્ડ પર છે અને તેની કરેલી કડક પૂછપરછમાં ક્રિકેટરોએ કરેલાં રોકાણની નવી માહિતી સામે આવી છે. બીઝેડ ગ્રૂપમાં કરાયેલા કરોડોના રોકાણમાં 4 ભારતીય ક્રિકેટરોનાં નામ સામે આવ્યાં છે, જેમાં શુભમન ગિલ, રાહુલ તેવટિયા, સાંઈ સુદર્શન અને મોહિત શર્માનો સમાવેશ થાય છે, જેમણે રૂ. 5 કરોડ જેટલી રકમનું રોકાણ કર્યું છે.
સીઆઇડીએ કરેલી તપાસમાં હવે ભારતીય ક્રિકેટરનાં નામ સામે આવતાં તેમની પૂછપરછ કરાશે. જો તપાસમાં તેઓ સહકાર નહીં આપે તો અને જવાબ લખાવવા નહીં આવે તો તેમને પણ નોટિસ મોકલાશે. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની કરેલી પૂછપરછમાં એ પણ સ્વીકાર્યું છે કે, ગિલ, સુદર્શન, મોહિત શર્મા અને તેવટિયાએ કરેલા રોકાણની સામે તેમના રૂપિયા પરત કરવામાં આવ્યા નથી. IPLમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરનારા શુભમન ગિલે આ પોન્ઝી સ્કીમમાં રૂ. 1.95 કરોડનું રોકાણ કર્યું હતું.


comments powered by Disqus