સ્માર્ટસિટી અમદાવાદમાં શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો પ્રથમ દિવસથી જ નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાવર શો પ્રત્યેની તેમની લાગણી અને સંભારણાનો ઉલ્લેખ કરતી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને અમદાવાદના નજરાણાં સમાન ફ્લાવર શોના ભરપેટ વખાણ કર્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં શેર કરી ફ્લાવર શોની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને 'X' પર ફ્લાવર શો અંગે લખ્યું હતું કે, મને આ શોથી ખૂબ જ લગાવ છે, કારણ કે મારા મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન તેને આગળ વધતા જોયો છે. આવા શો કુદરતી સુંદરતા દર્શાવે છે અને ખેડૂત, ગાર્ડનરને તેમની કૃતિ દર્શાવવાની તકો પૂરી પાડે છે.

