અમદાવાદઃ બ્રહ્માકુમારી સંસ્થાનાં મુખ્ય વહીવટકર્તા 101 વર્ષનાં દાદી રતન મોહિનીનું સોમવારે રાત્રે 1:20 વાગ્યે અમદાવાદની હોસ્પિટલમાં અવસાન થયું. 25 માર્ચ 1925એ હૈદરાબાદ, સિંધ (હાલના પાકિસ્તાન)માં જન્મેલાં દાદીનું નામ લક્ષ્મી હતું. માત્ર 13 વર્ષની ઉંમરે તેઓ બ્રહ્માકુમારી સંસ્થાના સંપર્કમાં આવ્યાં.
દાદી રતન મોહિની તેમના જીવનના છેલ્લા દિવસો સુધી સક્રિય રહ્યાં. તેઓ બ્રહ્મમુહૂર્ત દરમિયાન દરરોજ સવારે 3:30 વાગ્યે ઊઠતાં અને રાત્રે 10 વાગ્યા સુધી દૈવી સેવાઓમાં વ્યસ્ત રહેતાં હતાં. તેમણે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો પ્રચાર કરવા અનેક પદયાત્રાઓ કરી. જેના ભાગરૂપે તેઓ 70 હજાર કિલોમીટરથી વધુ ચાલ્યાં હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદી રતન મોહિનીજીના અવસાન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, તેમને પ્રકાશ, જ્ઞાન અને કરુણાના દીવાદાંડી તરીકે યાદ કરવામાં આવશે. તેમનું જીવન અને ઉપદેશો શાંતિ શોધનારા અને આપણા સમાજને વધુ સારું બનાવવા માગતા તમામ લોકો માટે માર્ગ પ્રકાશિત કરતા રહેશે.