નવી દિલ્હીઃ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં સૌથી વધુ માર્કેટ શેર ધરાવતી ઇન્ડિગો એરલાઇન્સ ફરી સંકટમાં આવી ગઈ છે. અઠવાડિયાના ઓપરેશનલ ક્રાઇસિસ બાદ સરકાર સીધી રીતે સખ્ત કાર્યવાહી પર ઉતરી છે. મંગળવારે ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સને દિલ્હીના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મુખ્યાલયે બોલાવાયા હતા, જ્યાં તેમની મુલાકાત નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ અને સચિવ સમીર સિંહા સાથે થઈ.
મીટિંગમાં ઇન્ડિગોની કામગીરી, મુસાફરોની સમસ્યા, ફ્લાઇટ રદ, રિફંડની સ્થિતિ, પાઇલટ રોસ્ટર તેમજ અટવાયેલા બેગેજ પરત કરવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ. જે બાદ મંત્રાલયે સૂચના આપી કે આગામી સમય માટે તેની ફ્લાઇટ ઓપરેશન્સમાં 10 ટકા ઘટાડો કરવો પડશે, જેથી સતત થતા વિક્ષેપોમાં ઘટાડાની સાથે મુસાફરોની મુશ્કેલીઓ ઓછી થાય.

