નવી દિલ્હીઃ ગવર્નન્સ અને ટ્રાન્સફોર્મેશન પર સ્પષ્ટ ફોક્સ સાથે આ સોમવારે સરકારે કેન્દ્રમાં શાસનને 11 વર્ષ પૂરાં કર્યાં. આ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 વર્ષના શાસનકાળની સિદ્ધિ અંગે વાત કરતાં જણાવ્યું કે, આ સમયગાળામાં ભારત સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્રની સાથે ક્લાઇમેટ એક્શન અને ડિજિટલ ઇનોવેશન જેવા મુદ્દે વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી બન્યું છે.
પ્રધાનમંત્રીએ વર્તમાન કેન્દ્રીય મંત્રીઓની યાદી શેર કરી હતી. આ યાદી મુજબ કેન્દ્રના 60 ટકા મંત્રીઓ એસસી, એસટી અને ઓબીસી શ્રેણીના છે. વડાપ્રધાને પોસ્ટમાં જણાવ્યું હતું કે, 140 કરોડ ભારતીયોના આશીર્વાદ અને સામૂહિક ભાગીદારીના કારણે ભારતના વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી કાયાપલટ થઈ રહી છે. 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ'ના સિદ્ધાંતો અનુસાર એનડીએ સરકારે ઝડપથી અને વ્યાપકસ્તરે ઉદારણીય પરિવર્તન લાવી દીધાં છે. આર્થિક વૃદ્ધિથી માંડીને સામાજિક ઉત્થાન સુધીનાં તમામ પાસામાં સરકારનો અભિગમ લોકાભિમુખ અને સર્વસમાવેશી રહ્યો છે. આ સફળતા આપણા સૌની છે અને તેના પર ગર્વ છે, જો કે આ સાથે વિકસિત ભારતના નિર્માણ માટે આગળ વધવાનું છે.