અમદાવાદઃ વર્ષ 1411માં અહમદશાહ બાદશાહ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના કરાઈ હતી. શહેરની સ્થાપના સમયે બાદશાહે શહેરને ફરતે બાર દરવાજા બનાવડાવ્યા હતા. બાદશાહના સમયમાં બનાવવામાં આવેલા તમામ દરવાજા આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા હસ્તક સોંપવામાં આવેલા છે. બુધવારે રાત્રે 9:30 વાગ્યે 614 વર્ષ જૂના દિલ્હી દરવાજાને બંધ કરવા માટે બનાવવામાં આવેલો લાકડાનો દરવાજો એકાએક ધરાશાયી થતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જો કે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી. શહેરના ઐતિહાસિક દરવાજા પૈકી એક દિલ્હી દરવાજાનો લાકડાનો દરવાજો ધરાશાયી થવાના પગલે સોશિયલ મીડિયામાં દરવાજો ધરાશાયી થયો હોવાના મેસેજ વાઇરલ થયા હતા.