RCBની વિક્ટ્રી પરેડમાં નાસભાગ, 11નાં મોત

Wednesday 11th June 2025 06:06 EDT
 
 

બેંગલુરુઃ આઇપીએલ-2025માં 18 વર્ષના લાંબા ગાળા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ - આરસીબીએ ટાઇટલ પોતાના નામે કર્યું. આ ખુશીમાં પાગલ બનેલા બેંગલુરુમાં આરસીબી ટીમની વિક્ટ્રી પરેડ યોજાઈ હતી. એક સાથે 3 લાખથી વધુ લોકો એકઠા થતાં અહીં અફરાતફરી સર્જાઈ હતી, જેમાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 33 લોકો ઘાયલ થયા હતા.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના
ટીમ એરપોર્ટ પહોંચી ત્યારે હજારો ચાહકો ત્યાં હાજર હતા. વિધાનસભા પહોંચતાં જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તમામ ખેલાડીઓનું સન્માન કર્યું. આરસીબી મેનેજમેન્ટે પણ પોલીસ મંજૂરી વિના સ્ટેડિયમનો કાર્યક્રમ યોજતાં ત્યાં અનિયંત્રિત ભીડ એકઠી થતાં અફરાતફરીમાં દુર્ઘટના સર્જાઈ હતી.
કોની સામે ફરિયાદ?
બેંગલુરુમાં થયેલી નાસભાગ મામલે સામાજિક કાર્યકર સ્નેહમયી કૃષ્ણાએ 5 જૂને ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને ક્રિકેટ બોર્ડના અધિકારીઓ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.બેંગલુરુ ભાગદોડ કેસમાં પોલીસે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, DNA ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની અને કર્ણાટક ક્રિકેટ એસોસિયેશન સામે ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે, આ અકસ્માત ગુનાઇત બેદરકારીના કારણે થયો હતો. જે અંતર્ગત જાહેર કાર્યક્રમમાં સુરક્ષા પ્રત્યે બેદરકારી, ભીડનું ગેરવહીવટ અને લોકોના જીવનને જોખમમાં મૂકવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીનો આદેશ
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આરસીબી અને ડીએનએ ઇવેન્ટ એજન્સીના અધિકારીઓની ધરપકડનો આદેશ આપ્યો. આ સાથે બેંગલુરુ પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. મામલાની તપાસ માટે નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી બનાવાઈ છે.


comments powered by Disqus