ગાંધીનગર, લંડનઃ અમદાવાદને કોમનવેલ્થ રમતોત્સવ-2030ની યજમાની મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની એક ટીમે લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સના અધિકારીઓની મુલાકાત લીધી હતી. જેમાં રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિતની ભારતીય ટીમ દ્વારા યજમાની માટે કરાયેલી અત્યાર સુધીની તૈયારીની માહિતી અપાઈ હતી.
લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના પ્રતિનિધિઓ પણ સામેલ હતા. આ યજમાની માટેનો પ્રસ્તાવ 31 ઓગસ્ટ-2025 સુધીમાં સબમિટ કરવાનો છે. લંડનમાં બે દિવસની ચર્ચા દરમિયાન ભારતીય ટીમે યજમાની માટેની તૈયારી રજૂ કરી હતી. તેનો પ્રતિભાવ આપતાં કોમનવેલ્થ ગેમ્સની ટીમે જણાવ્યું કે, તેઓ રસ ધરાવતાં શહેરો સાથે સહયોગ કરી પ્રસ્તાવ તૈયાર કરવામાં મદદ કરશે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ખેલાડીઓની સુવિધા, જરૂરિયાતો, પ્રદર્શનને પ્રાથમિકતા અપાશે. કોમનવેલ્થ એસોસિયેશન ઓફ ઇન્ડિયાનાં પ્રેસિડેન્ટ પી.ટી. ઉષાએ જણાવ્યું કે, ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સાથે મળીને રમતોનું આયોજન કરવા તૈયાર છે. ભારતે વૈશ્વિક પદ્ધતિને અનુસરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. બેઠકમાં શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમાર, રમતગમત વિભાગના સચિવ એમ. થેન્નારસન અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ઉપસ્થિત રહ્યા હતા.