ઇસ્લામાબાદ: પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે 4 દિવસના ઘર્ષણમાં ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડયું અને અચાનક જ 10 મેએ ભારતે સીઝફાયરની પાકિસ્તાનની વિનંતી માની લીધી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ માટે અચાનક જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે સક્રિય થયા તેનો ઘટસ્ફોટ હવે થયો છે. પાકિસ્તાનના નૂરખાન એરબેઝને ભારે નુકસાન થયું હતું તેના પર હકીકતમાં અમેરિકાનું નિયંત્રણ છે અને ત્યાં રખાયેલાં પરમાણુ હથિયારો પણ અમેરિકાનાં હોવાની સોશિયલ મીડિયા પર વ્યાપક સ્તરે અટકળો થઈ રહી છે.
પાકિસ્તાનના સુરક્ષા નિષ્ણાત ઈમ્તિયાઝ ગુલે દાવો કર્યો કે, ભારતે નૂરખાન એરબેઝ પર હુમલો કર્યો ત્યારે પણ આ એરબેઝ પર અમેરિકાનું જ નિયંત્રણ હતું. નૂરખાન એરબેઝ પર પાકિસ્તાની આર્મીને પણ પ્રવેશની મંજૂરી નથી.
ગુલે દાવો કર્યો કે પાકિસ્તાની એરફોર્સના નૂરખાન એરબેઝ પર અમેરિકાના નિયંત્રણથી હકીકતમાં દેશની સ્વાયત્તતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. અમેરિકાના વિમાનો વારંવાર નૂરખાન એરબેઝ પર જોવા મળ્યા છે, પરંતુ તેના કાર્ગો અંગે કોઈ સ્પષ્ટતા નથી. એટલે કે એ સ્પષ્ટ નથી કે આ વિમાનો શું લઈ જઈ રહ્યા છે કે લાવી રહ્યા છે?