કચ્છના બન્નીમાં જૈવ-વૈવિધતા એવી સમૃદ્ધ થઈ ગઈ છે કે, હરણની ત્રણેય પ્રજાતિ હવે ઘાસિયા મેદાનમાં ઊછળકૂદ કરતી જોવા મળી રહી છે. વર્ષ 1982માં કચ્છમાં છેલ્લે દેખાયેલાં કાળિયાર વિલુપ્ત થયા બાદ વનવિભાગે તેને ફરી એ જ સમૃદ્ધ ઘાસિયા મેદાનમાં પુનઃ સ્થાપિત કર્યાં છે. તે સમયે પૂર્વ બન્નીમાં 50 કાળિયાર હોવાની નોંધ વન્ય જગતના વિદ્વાન એમ.કે. રણજિતસિંહજી દ્વારા કરાઈ હતી. ત્યારબાદ ધીરેધીરે કચ્છથી શિકાર અને વિવિધ પ્રવૃત્તિ થકી કાળિયાર કચ્છથી વિલુપ્ત થયાં હતાં. હાલ કેવડિયા સહિત વિવિધ સ્થળેથી કાળિયારને ખાસ વાહનથી ચીવટપૂર્વક બન્ની પહોંચાડાયાં છે. ભાવનગર પાસેના વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર હજારોની સંખ્યામાં છે. અહીં ચિત્તલ અને ચિંકારા તો છે, પણ કાળિયાર છૂટાછવાયા અન્ય વિસ્તારમાં જોવા મળે છે. આમ નાનકડા વિસ્તારમાં જ હરણની ત્રણેય પ્રજાતિ હોય તેવો સુખદ સંયોગ કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં સર્જાયો છે.