દેશમાં 17 વર્ષ પછી ફરી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ વખતે જાતિ આધારિત વસ્તીગણતરી કરાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેને વસ્તીગણતરી-2027 નામ આપ્યું છે.
• મુંબઈમાં ટ્રેનથી પડી જતાં 5નાં મોતઃ થાણે જિલ્લામાં સોમવારે લોકલ ટ્રેનમાં ભારે ભીડના કારણે પડી જવાથી 5 લોકોનાં મોત થયાં અને 6થી વધારે લોકોને ઇજા થઈ હતી. ઇજાગસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.
• ભાડુતી હત્યારાથી પતિની હત્યાઃ હનીમૂન દરમિયાન લાપતા ઇન્દોરના યુવક રાજા રઘુવંશીની હત્યા તેની પત્ની સોનમ રઘુવંશીએ ભાડુતી હત્યારાઓ દ્વારા કરાવી. પોલીસે તમામ આરોપીને ઝડપી લીધા છે.
• લોકો 2029માં પણ મોદીને ફરી પ્રધાનમંત્રીપદે જોવા ઇચ્છુકઃ સી-વોટર દ્વારા એક સરવે હાથ ધરવામાં આવ્યો. આ
સરવે મુજબ 59.3 ટકા લોકોએ પ્રધાનમંત્રી મોદીને વર્ષ 2029માં ફરી પ્રધાનમંત્રી પદે જોવા ઇચ્છા દર્શાવી છે. જો કે 27.4 ટકા લોકોએ ના પાડી હતી.
• મણિપુરના 5 જિલ્લામાં હિંસાઃ મૈતેઇ સંગઠન અરામબાઈ ટેંગોલના સક્રિય નેતા કાનનસિંહની ધરપકડ થતાં મૈતેઇ જૂથ દ્વારા મણિપુરના 5 જિલ્લામાં હિંસા સાથે પ્રદર્શન કરવામાં આવ્યું.
• ઇન્ફોસિસને રાહતઃ ડિરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સે ઇન્ફોસિસને રૂ. 32,403 કરોડના જીએસટી અંગે નોટિસ પાઠવી હતી. જેને ક્લોઝ કરી દેવાતાં સૌથી મોટી આઇટી કંપની સામેના જીએસટી કેસનો અંત આવ્યો છે.
• પ્રધાનમંત્રી મોદી જી-7 શિખર બેઠકમાં ભાગ લેશેઃ કેનેડાના પ્રધાનમંત્રી કાર્નીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરીને તેમને જી-7 શિખર બેઠકમાં ભાગ લેવા નિમંત્રણ આપ્યું છે, જે બાદ મોદીએ જી-7માં હાજરી આપવા સહમતી દર્શાવી છે.
• સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાન તરફી નારા લાગ્યાઃ અમૃતસરના સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ હાથ ધરાયેલા ઓપરેશન બ્લૂસ્ટારની 41મી વરસી પર અકાલ તખ્ત ખાતે કટ્ટરવાદી શીખ સંગઠનોએ ખાલિસ્તાન તરફી નારા લગાવ્યા હતા. હરમંદિર સાહિબની આસપાસ તથા જૂના અમૃતસર શહેરમાં બંધ પાળવામાં આવ્યો હતો.