જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના વિરોધમાં શનિવારે અમદાવાદમાં વિશાળ સંત સુરક્ષા મહારેલી યોજાઈ, જેમાં હજારો જૈન શ્રાવક-શ્રાવિકાઓ અત્યંત વેદના અને આક્રોશ સાથે રેલીમાં જોડાયાં હતાં. પૂજ્ય આચાર્ય ભગવંતો અને સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આ રેલી શ્રી રેવા જૈનસંઘ, વાસણાથી શરૂ થઈ પ્રિતમનગર અખાડા ખાતે વિરાટ સભામાં પરિણમી હતી.