ભુજઃ ભારતીય સેનાની વિજયગાથાને યાદ કરવા માટે ગુજરાત સરકારે કચ્છમાં પાકિસ્તાન સરહદ નજીક એક અનોખો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ભુજ શહેર નજીક 20 એકર જમીન પર સિંદૂરવનનું નિર્માણ કરાશે. આ સ્થળ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરસભાનું સાક્ષી બન્યું હતું.
કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, ભુજ-માંડવી રોડ પાસે મિરઝાપર વિસ્તારમાં વનવિભાગની 20 એકર જમીન પર આ સ્મૃતિવન આકાર લેશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ દળોના બલિદાનને સન્માન આપવાનો છે. સિંદૂરવન થીમ આધારિત હશે, જેમાં સિંદૂરના છોડની સાથે 35 જેટલી સ્થાનિક વનસ્પતિનું વાવેતર થશે.
ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર સમયે પાકિસ્તાની સેનાએ કચ્છ પર ડ્રોન હુમલા કર્યા હતા, જેને ભારતીય સેનાએ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા અને સમગ્ર ક્ષેત્રને સુરક્ષિત રાખ્યું હતું. કચ્છે અગાઉ પણ પાકિસ્તાન સાથેનાં યુદ્ધોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સીમાવર્તી સિંદૂરવન દોઢ વર્ષમાં પૂર્ણ કરવાની યોજના છે.
મોદીએ કચ્છથી મળેલું સિંદૂરનું વૃક્ષ રોપ્યું
કચ્છ પ્રત્યે અપાર લાગણી ધરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છની ધરતી પરથી માધાપરની વીરાંગનાઓને આપેલા વચનને 10 દિવસમાં જ નિભાવ્યું છે. પ્રધાનમંત્રી મોદી 26 મેએ ભુજ આવ્યા ત્યારે ઓપરેશન સિંદૂરની કામગીરી બદલ વીરાંગનાઓએ પીએમનાં ઓવારણાં લઈ સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો. આ સમયે મોદીએ કહ્યું હતું કે, આ છોડ તેઓ પીએમ હાઉસમાં લગાવશે અને સિંદૂરનો છોડ વટવૃક્ષ બને તે દિશામાં પ્રયાસ કરશે.
મહિલાઓએ યુદ્ધમાં સૈન્યની મદદ કરી હતી
1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે પાકિસ્તાની સેનાએ ભુજના એરબેઝ પર હુમલો કરતાં રનવે તૂટી ગયો હતો. આ સમયે સેનાને બોલાવવા માટે રન-વેની આવશ્યકતા હતી, ત્યારે માધાપરની મહિલાઓએ સતત બોમ્બમારા વચ્ચે કામ કરીને રન-વે તૈયાર કરી આપ્યો હતો. તેમણે વડાપ્રધાન મોદીને સિંદૂરનો છોડ ભેટ આપ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ છોડ તેમના નિવાસસ્થાને વટવૃક્ષ તરીકે વિકસશે.
ભારતીય સેનાની વિજયગાથાને યાદ કરવા માટે ગુજરાત સરકારે કચ્છમાં પાકિસ્તાન સરહદ નજીક એક અનોખો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ભુજ શહેર નજીક 20 એકર જમીન પર સિંદૂરવનનું નિર્માણ કરાશે. આ સ્થળ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરસભાનું સાક્ષી બન્યું હતું.