મહેસાણાઃ કાર્તિકે પૂર્ણિમા એટલે દેવદિવાળીએ ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાજીના મંદિર, ખેડબ્રહ્મા મિની અંબાજી, ઊંઝાના ઉમિયા માતા ધામ અને શામળાજી શામળિયાના મંદિર ખાતે સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા.
સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમા મેળામાં પૂનમે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટયા હતા. તર્પણ વિધિ તેમજ મેળામાં અલગ-અલગ રાઈડ્સની મજા માણી હતી. શામળાજી ખાતે કાર્તિકી પૂનમે ભગવાન શામળિયાને રંગબેરંગી વાઘા પહેરાવી સુવર્ણ અલંકારો અને સુવર્ણ મોરપિંચ્છ મુગટથી શણગારવામાં આવ્યા હતા. પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાનાં દર્શને પહોંચ્યા હતા. યાત્રાધામ ઢીમામાં 10 દિવસ સુધી ભરાતો લોકમેળો કાર્તિકી પૂનમે સંપન્ન થયો હતો. દેવદિવાળી હોવાથી અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું હતું. દરમિયાન દિવાળી વેકેશન દરમિયાન 12 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અંબાજીમાં દર્શન કર્યાં હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિરે કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાયો હતો. આ મેળામાં શ્રદ્ધાળુઓ દ્વારા તર્પણ વિધિ કરી પિતૃઓના અસ્થિઓનું વિસર્જન કરાયું હતું.

