ઓખાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદરથી રવાના થયેલી કોડીનારની એક બોટ અને આઠ માછીમારોને પાકિસ્તાને પકડયાની તેમજ બોટ પર કથિત ફાયરિંગ પણ થયુ હોવાની સ્થાનિક માછીમારી વર્તુળોમાં વાત વહેતી થઇ છે.જે મુદદે હજુ સત્તાવાર માહિતીની રાહ જોવાઇ રહી છે.
દ્વારકા જિલ્લાના ઓખા બંદરથી કોડીનારની એક માછીમારી બોટ નલ નારાયણ ગત તા.25ના રોજ ટંડેલ તથા છ ખલાસી સાથે માછીમારી અર્થે રવાના થઈ હતી.જે બોટ સંભવત જખૌ પંથકના આઇએમબીએલ નજીકના વિસ્તારમાં માછીમારી કરી રહી હતી જે વેળાએ તેનુ અપહરણ થયાની ચર્ચાઓએ જોર પકડયુ છે. કોડીનારની નલ નારાયણ બોટમાં મીતેશ રામગી, બાંભણિયા, મોહન રાણાભાઈ, બાંભણીયા કરન પ્રેમજી, નામદેવ બાલક્રિષ્ન મેહેર, પંજયારી નિલેશ રમેશભાઈ, બારૈયા તરૂણ સીદીભાઈ અને સિકોતરીયા ભરત દિલીપભાઈ હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. માછીમારો દરીયામાં ઘણી વખત આંતરરાષ્ટ્રીય સીમા નજીક હોય ત્યારે પાડોશી દેશ દ્વારા ફાયરીંગ કરવાની તથા બોટપકડી માછીમારોને પકડવાની પ્રવૃત્તિઓ થતી હોય છે. ભૂતકાળમાં આવા બનાવો બની ચૂક્યા છે ત્યારે ફરી
એક વખત પાકિસ્તાને ‘નાપાક' હરકત કરી હોવાનો
ગણગણાટ છે.

