ગાંધીધામઃ ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર પછી ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવની અસર કચ્છમાં વધુ જોવા મળી હતી. પાકિસ્તાનના ડ્રોન હુમલા બાદ કચ્છમાં હાઇએલર્ટ જારી કરવામાં આવતાં કચ્છના સરહદી વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોમાં ભય ફેલાયો હતો. આ સ્થિતિ વચ્ચે કચ્છના સરહદી કોરીક્રિક વિસ્તારમાં ચેરિયા વાવેતર પ્રોજેક્ટ સાથે જોડાયેલા 104 શ્રમિકોને પશ્ચિમ કચ્છ વન વિભાગે બહાર લાવી સલામત સ્થળે આશ્રય અપાવ્યો હતો.
કોરીક્રિક પાણી અને રણ મિશ્રિત વિસ્તાર છે અને દરિયાઈ ખારાશ આગળ વધતી અટકાવવા માટે ચેરિયાનું વાવેતર કરવામાં આવે છે. આ કામગીરી કરતાં શ્રમિકોને સરહદી વિસ્તારના તણાવની પણ જાણ નહોતી. કચ્છના આ ખારા રણ વિસ્તારમાં મીઠી માનવતાભરી વાત એ છે કે, આ શ્રમિકોને પોતાની જવાબદારી સમજીને વનવિભાગ અને સેનાએ સંયુક્ત કામગીરી કરી બચાવ્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતાં પશ્વિમ કચ્છ વનવિભાગના નાયબ સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કચ્છના છેવાડે કોરીક્રિકમાં ચેરિયાના વાવેતરની કામગીરી પશ્ચિમ વનવિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ચેરિયા પ્રોજેકટના આ વાવેતરની કામગીરીમાં 104 જેટલા શ્રમિકો ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી આ સ્થિતિથી અજાણ હોવાથી ફસાયેલા શ્રમિકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યાા હતા અને કોટેશ્વર ફોરેસ્ટ કોલોની ખાતે આશરો આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વન વિભાગ અને બીએસએફ દ્વારા સાથે મળીને આ કામગીરી કરાઈ હતી. પડાલા ક્રિક પાસે અત્યારે ચેરિયાના પ્લાન્ટેશનનું કામ ચાલી રહ્યું છે. ગત ગુરુવારે સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ પણ કરાયો હતો. તે વખતે અહીં 104 લોકો પરિવાર સાથે હતા.
આ સમયે નેટવર્કના અભાવે વધુ મુશ્કેલી સર્જાઈ હતી, પરંતુ નેટવર્ક આવતાં જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રિયકાંત આશરા અને સ્ટાફે સાથે મળીને તાત્કાલિક બોટ મારફતે ક્રિક વિસ્તારમાં પહોંચીને કોટેશ્વર જેટી અને પછી ફોરેસ્ટ કોલોનીમાં સલામત રીતે શ્રમિકોને ખસેડ્યા હતા.