ખંભાળિયાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રનો આપઘાત

Wednesday 14th May 2025 06:48 EDT
 
 

જૂનાગઢઃ ખંભાળિયામાં મિલન ચારરસ્તા વિસ્તારમાં રહેતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ગઢવી અગ્રણી પી.એમ. પતાણી (ગઢવી)ના જુવાનજોધ પુત્રએ શનિવાર વહેલી સવારે પોતાના પિતાની લાઇસન્સવાળી પિસ્તોલ દ્વારા આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના મિલન ચારરસ્તા વિસ્તારના રહીશ અને હાલ દ્વારકા રોડ પર આવેલા ખોડિયાર મંદિર નજીક વાડી ધરાવતા પેથાભાઈ મૂળુભાઈ પતાણી (પી.એમ. ગઢવી)નો મોટા પુત્ર વિજયે શનિવાર વહેલી સવારે કોઈ કારણોસર પિતા પી.એમ. ગઢવીની લાઇસન્સવાળી પિસ્તોલ વડે પોતાના હાથે છાતીના ભાગે ગોળી મારી લેતાં તેમનું લોહીલુહાણ હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં જાણવા મળતી વિગત મુજબ વિજય પતાણી (ગઢવી) અમદાવાદ ખાતે તાજેતરમાં ઉચ્ચ અભ્યાસ કરીને અહીં પરત આવ્યો હતો. ત્યારે વહેલી સવારે કોઈ કારણોસર તેમણે આપઘાત કરી લેતા શોકની લાગણી
છવાઈ છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને વિજયના આપઘાતના કારણે અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પરિવારજનો અને ગઢવી સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.


comments powered by Disqus