જૂનાગઢઃ સાસણગીર સહિતના વિસ્તારોમાં જ્યાં સાવજોનો વસવાટ છે ત્યાં પ્રથમ તબક્કે સિંહોની સંખ્યાનો અંદાજ મેળવવા પ્રાથમિક તબક્કાની કામગીરી પૂર્ણ કરાઈ છે. જ્યારે આખરી ગણતરીનું કાર્ય પણ શરૂ કરી દેવાયું છે. સાવજોની વસ્તીનો જાણવા 16 જિલ્લાના 58 તાલુકામાં 35 હજાર ચો.મી. વિસ્તાર આવરી લેવાયો છે.
સાસણ અભયારણ્ય ખાતેથી 10 મેથી 11 મેએ બપોરે 2 સુધી પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ કરાયું હતું, તો 11 મેએ બપોરથી 12 મેએ બપોર સુધી કામગીરી બંધ રખાઈ હતી. વનવિભાગના નેજા હેઠળ 3 હજાર લોકોએ સિંહોને શોધીને ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરી છે.
એક અંદાજ મુજબ રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધે તેવું અનુમાન છે. વર્ષ 2020માં સિંહોની સંખ્યા 674 જેટલી હતી અને તેમાં વધારો થવાની શક્યતા છે. પ્રાથમિક તબક્કાના અંદાજમાં જંગલની અંદર 300થી વધુ અને જંગલના બહારના વિસ્તારમાં 400 જેટલા સિંહ હોવાનું જાણવા મળી રહ્યું છે.