જમ્મુ-કાશ્મીરમાં 10 હજાર સૈનિકોનું ઓપરેશન ક્લીન

સુરક્ષાબળોની કાર્યવાહીથી હતપ્રભ આતંકીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા

Wednesday 14th May 2025 08:03 EDT
 
 

શ્રીનગરઃ પહેલગામ હુમલા પછી પાકિસ્તાનમાં આતંકવાદને ખતમ કરવા માટે ચાલી રહેલા ઓપરેશન સિંદૂરની સાથે સેનાએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ભગાડવાનું કામ તેજ કરી દીધું છે.
પોલીસ, સેના અને CRPFના લગભગ 10 હજાર સૈનિકો આ 'ઓપરેશન ક્લીન' ચલાવી રહ્યા છે.
લશ્કરી અને પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે રાજૌરી, અખનૂર, પૂંછ, કઠુઆ, કુપવાડા પટ્ટાના ગાઢ જંગલોમાં સઘન શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. આ વિસ્તારોમાં 10 જંગલ વિસ્તારો છે, જ્યાં આતંકવાદીઓ છુપાયેલા રહેતા હતા અને વારંવાર સુરક્ષાદળો પર હુમલો કરતા હતા. હવે આ વિસ્તારોમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. છેલ્લા બે અઠવાડિયામાં 700થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. 15 આતંકવાદી ઠેકાણાંનો નાશ કરવામાં આવ્યો છે. હજુ ઘણા આતંકીઓ પહેલગામનાં જંગલોમાં છુપાયેલા છે.
શોપિયાંમાં લશ્કર-એ-તોઇબાના 3 આતંકી ઠાર
પહલગામ આતંકી હુમલા બાદ સેના દ્વારા પાકિસ્તાનમાં સ્થિત આતંકીઓના કેમ્પોને તબાહ કરી દેવામાં આવ્યા છે, જે બાદ ઓપરેશન સિંદૂર હેઠળ સુરક્ષાદળો દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આતંક વિરુદ્ધ અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત શોપિયાં ખાતે સુરક્ષાદળો દ્વારા લશ્કર-એ-તોઇબાના ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.
મંગળવારે સવારે ઓપરેશન સિંદૂરના અભિયાન હેઠળ સુરક્ષાદળોએ શોપિયાંના જમ્પાધરીમાં લશ્કર-એ-તોઇબાના ત્રણ આતંકીઓને ઘેરી લીધા હતા, જે બાદ આતંકીઓ દ્વારા ફાયરિંગ શરૂ કરી દેવાયું હતું. જેની જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકીઓ ઠાર મરાયા હતા. સેના તરફથી મળેલી જાણકારી મુજબ આતંકીઓના જે ગ્રૂપને ટ્રેપ કરવામાં આવ્યું હતું, તે અલગ ગ્રૂપ છે. આ ગ્રૂપમાં પહલગામ હુમલાના ગુનેગાર આતંકી સામેલ નથી. પહલગામ આતંકી હુમલામાં સામેલ આતંકીઓની શોધ માટે અલગ-અલગ સ્થળે સુરક્ષાબળ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
શોપિયાંના શુક્રુ જંગલમાં થયેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તોઇબા અને તેના સાથી આતંકી જૂથ ટીઆરએફના મૂળ કાશ્મીરના સોપિયાંના અદનાન શફી ડાર, આમિર અહેમદ ડાર અને શાહીદ અહેમદ નામના આતંકી ઠાર મરાયા છે.
સાંબામાં 7 આતંકી ઠાર
ભારત સતત પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને નષ્ટ કરી રહ્યું છે. ગુરુવારે રાત્રે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના હવાઈ હુમલાના પ્રયાસોને નિષ્ફળ કર્યા બાદ શુક્રવારે ભારતીય સેનાએ જૈશ-એ-મોહંમદના 7 આતંકીને ઠાર કર્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર BSF એ સાંબામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરી દીધો છે. પાકિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 ઘૂસણખોરોને ઠાર મારવામાં આવ્યા. માર્યા ગયેલા ઘૂસણખોરો જૈશ-એ-મોહંમદના હોવાનું જણાવાઈ રહ્યું છે.
પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો જ્યારે ભારતે જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર અને અન્ય સ્થળોએ સૈન્ય સ્થળો પર હુમલો કરવાના પાકિસ્તાની સૈન્યના પ્રયાસોને નિષ્ફળ કરી દીધા. ઘૂસણખોરીની દૃષ્ટિએ સાંબા પહેલેથી ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. આ જ કારણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને અહીં તકેદારી વધારી દેવાઈ છે.
ભારતીય સેનાએ કહ્યું કે, 8-9 મે 2025ની રાત્રે પાકિસ્તાની સેનાએ પશ્ચિમી સરહદ પર એકસાથે અનેક હુમલાઓનો પ્રયાસ કર્યો હતો. બીએસએફનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના 8 મેની રાત્રે લગભગ 11 વાગ્યે બની હતી. રાત્રીના અંધારાનો ફાયદો ઉઠાવીને આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે બીએસએફે ગોળીબાર કર્યો, જેમાં જૈશ-એ-મોહંમદના 7 આતંકી માર્યા ગયા.


comments powered by Disqus