ગાંધીનગરઃ ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચલી, ગારખડી સહિતનાં ગામોના પૂર્વપટ્ટી મહારાષ્ટ્ર સરહદ વિસ્તારમાં શુક્રવારે સાંજે 6.30 વાગ્યાના અરસામાં વરસાદ સાથે વાવાઝોડું ફુંકાયું હતું. ઉપરવાસમાં વાદળ ફાટવાના લીધે નદીમાં અચાનક જ અતિભારે પૂર આવતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અચાનક જ નદીમાં પૂર આવતાં લોકો કિનારે દોડી ગયા હતા. નદીમાં પૂરથી લોકોએ નદીમાં મૂકેલી પિયત માટેની મોટર કાઢવાનો પણ મોકો મળ્યો નહોતો, તેમજ નદીકિનારે ભેગો કરેલો ઘાસચારા સહિતના પાકને નુકસાન થયું હતું.
ડાંગ જિલ્લામાં 4થી 5 દિવસ માવઠાથી ખાપરી, અંબિકા અને પૂર્ણા સહિતની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અચાનક જ પૂર આવતાં અમે સલામત સ્થળે દોડી ગયા હતા.જો કે પૂરમાં ઘણી ઘરવખરી તણાઈ ગઈ છે. તો ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આફત
સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં માવઠાનો કેરે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. માવઠાનો આ માર પોરબંદર, રાજકોટ, જામનગર, અમરેલી, કચ્છ, મોરબી સહિતના જિલ્લાના ખેડૂતો પર પડ્યો છે. જેના પગલે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાવાથી ઊભો પાક બરબાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જામનગરના જામજોધપુરમાં પાંચ ઇંચ જ્યારે કલ્યાણપુર તાલુકામાં 3 ઈંચ માવઠું વરસ્યું હતું.
એકથી પાંચ ઇંચ વરસાદ વરસી જતાં ચોમેર પાણી ભરાયાં હતાં. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં પૂર આવ્યાં છે. જામનગર તાલુકાના હર્ષદપુર, ગંગા અને આસપાસનાં ગામોમાં માવઠું પડ્યું હતું, જેમાં કલ્યાણપુરમાં 112 મિલીમીટર, ભાણવડમાં 99 મિલીમીટર અને ખંભાળિયામાં 74 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, તો કચ્છમાં અંજારના ખેડોઈ ગામમાં પણ માવઠું વરસ્યું હતું. ઉપરાંત મુન્દ્રા અને ભુજ સહિત આસપાસનાં ગામડાઓમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસતાં માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. આ સિવાય અમરેલી,સ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા સહિતના જિલ્લાના અનેક ગામોમાં માવઠું વરસ્યું હતું.
કેરીમાં 50, તલમાં 40 ટકાનું નુકસાન
રાજ્યભરમાં માવઠાના કારણે ખેતી, પશુ અને મકાનોને નુકસાન થયું છે ત્યારે તેની કૃષિવિભાગે તેનો પ્રાથમિક અંદાજ જાણ્યો છે. આ પ્રાથમિક અંદાજ પ્રમાણે રજૂ કરાયેલા આંકડા પ્રમાણે કેરીના પાકને 50 ટકા નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તલના પાકને 40 ટકા નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય પપૈયામાં 20 ટકા, કેળામાં 15 ટકા, ડાંગરમાં 15 ટકા નુકસાન થયું હોવાનો અંદાજ રજૂ થયો છે. જો કે આ આ હજુ પ્રાથમિક અંદાજ છે. વરસાદ બાદ નુકસાનીનો સરવે કરાવ્યા પછી જ ચોક્કસ આંકડો બહાર આવતાં રાજ્ય સરકાર કોઈ જાહેરાત કરશે. એટલે કે સરવે બાદ રાજ્ય સરકાર વિચારણા કરશે.