નલિયાથી સાંતલપુર સુધીની સરહદે દિવસે શાંતિ પણ સાંજ પડતાં જ વધતો ઉચાટ

Wednesday 14th May 2025 06:12 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતના સરહદી વિસ્તારોમાં શનિવારે અડધી રાત પછી દુશ્મન દેશ પાકિસ્તાનના ડ્રોન હુમલા બંધ થયા પછી રવિવારે પરોઢિયે પણ કોઈ અવળચંડાઈ જણાઈ નહોતી. આને પગલે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી વિસ્તારોમાં વસતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે સાંજ પડતાં ફરીથી ઉચાટ વધ્યો હતો. રાત્રે નલિયા, આદિપુર, જખૌમાં ડ્રોન દેખાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ તરફથી કોઈ સમર્થન મળ્યું નથી.
શનિવારે સાંજે છ વાગ્યે ભારતે પાકિસ્તાનની શસ્ત્રવિરામની દરખાસ્તને સાનુકૂળ પ્રતિસાદ આપ્યા બાદ ફરીથી પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલાનો પ્રયાસ કચ્છના કેટલાક વિસ્તારોમાં થતા સરકારે ચાર જિલ્લામાં અંધારપટના આદેશો આપ્યા હતા. જો કે કચ્છમાં દેખાયેલા 12 જેટલા ડ્રોન લશ્કરે કાર્યવાહી કરીને તુરંત જ તોડી પાડ્યા પછી રવિવાર વહેલી પરોઢથી કોઈ ગતિવિધિ જણાઈ નથી, એટલે સરહદી જિલ્લાઓમાં લોકોએ રાહત અનુભવી છે. જો કે તંત્ર અને જનતાએ હજુ એકાદ બે દિવસ સાવધાની રાખવાની રહેશે એમ સૂત્રો માની રહ્યાં છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા પ્રશાસન દ્વારા રવિવારે ફરીથી એક જાહેરાત કરાઈ છે, એ મુજબ આગામી સૂચના ન મળે ત્યાં સુધી સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી બ્લેકઆઉટ પાળવામાં આવશે. આ બ્લેકઆઉટના પગલે દ્વારકાધીશ મંદિર સહિતનાં મંદિરો પણ રાત્રે 7:30 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રહેશે. સમગ્ર જિલ્લામાં લોકોને રાત્રે અંધારપટનું પાલન કરવા, માર્ગો પર બિનજરૂરી હલચલ ન કરવા પણ તાકીદ કરાઈ છે.
યુદ્ધવિરામની સતત ત્રીજી રાત્રે કચ્છમાં ડ્રોન દેખાયાં
ભારત અને પાકિસ્તાન વચ્ચે સત્તાવાર યુદ્ધવિરામ બાદ પણ પાકિસ્તાનની નાપાક હરકતોના કારણે સરહદીય વિસ્તારોમાં તણાવ ઘટતો નથી. એકતરફ ઘૂંટણિયે આવેલા પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામની જાહેરાત બાદ સતત ત્રીજી રાત્રે પણ જખૌ, સુથરી, ભુજ, ગાંધીધામ, આદિપુર, અંજાર, નલિયા, દયાપર તેમજ ખાવડા વિસ્તારમાં લોકોએ આકાશમાં ડ્રોનની હાજરીને નિહાળી હતી. તો બીજી તરફ સુરક્ષા એજન્સીઓ સૈન્ય તેમજ ગુપ્તચર એજન્સીઓ સહિત ડ્રોન મામલે તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ અંગે સત્તાવાર કોઈ વિગતો જાણવા મળતી નથી.
ધર્મગુરુઓનું રાજભવનથી દેશને સમર્થન
ગાંધીનગર ખાતે રાજભવનમાં શનિવારે સર્વધર્મ સમભાવ સભા યોજાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિવિધ ધર્મગુરુઓ આ સભામાં હાજર રહ્યા હતા.
ધર્મગુરુઓએ પોતાના પ્રવચનમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિમાં દેશ અને સૈન્યનું મનોબળ વધે અને નાગરિકોમાં એકતા રહે તે માટે પ્રાર્થના કરી હતી. તેઓ આ સંદેશ પોતાના અનુયાયીઓને પણ આપશે.

ભુજથી પાક. સમર્થક વેબસાઇટ ડેવલપરની ધરપકડ

ભુજઃ બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડિયા દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી દેશવિરોધી પ્રવૃત્તિ પર વોચ રાખી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. દરમિયાન સાઇબર ક્રાઈમ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સંજોગનગરની તૈયબા ટાઉનશિપમાં રહેતા આરોપી અનીસ આબીદઅલી ભાને પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટસ મૂકેલ છે. આરોપીએ અલગતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન તેમજ ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને ભયમાં મૂકેલ હોય તેવું કૃત્ય કરી ગુનો આચર્યો હતો.
ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યા બાદ દેશભરમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, ત્યારે વાપીના એક યુવક શાહીદનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે પાકિસ્તાને ઇન્ડિયાનાં બે વિમાન તોડી પાડ્યાનું કહી ખુશ થતો દેખાય છે. આ વીડિયો વાઇરલ થતાં પોલીસે તેની ધરપકડ કરી છે. ભારત તરફથી મંગળવારે રાત્રે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં આતંકીઓનાં ઠેકાણાં પર હુમલો કરાયો હતો. જેમાં કેટલાક આતંકી ઠાર થયા હતા. આ તરફ વાપીથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં મુસ્લિમ યુવક જણાવે છે કે, ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલામાં પાકિસ્તાનને ઇન્ડિયા કે દો જહાજ ગિરાયે હૈં, ઇન્શાઅલ્લાહ. શાહીદ નામના આ ઇસમ સામે ફરિયાદ થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

1971 યુદ્ધમાં પાકિસ્તાને હવાઈ હુમલો કર્યો હતો

1971ના યુધ્ધમાં પાકિસ્તાને કચ્છના ખાવડા બોર્ડર ઉપર એર એટેક કર્યો હતો. આ સમયે કચ્છ બોર્ડર ઉપરના ગામોના મહિલાઓ, નાગરિકોએ સેનાની સાથે ખભેખભા મિલાવીને સાથ આપતાં પાકિસ્તાનને પરાજયનો સ્વાદ ચાખવો પડયો હતો. આવો જ જુસ્સો અને સતર્કતા આજની તારીખે પણ ખાવડા બોર્ડરના ગામોના નાગરિકોમાં જોવા મળી રહ્યાં છે. કાશ્મીર અને પંજાબ બોર્ડર ઉપર યુધ્ધની સ્થિતિ છે ત્યારે કચ્છમાં જાસુસીનો પ્રયાસ કરતાં ડ્રોનને વહેલી સવારે ચાર વાગ્યે ઉડતું જોઈને સરહદી કચ્છની બોર્ડરના નાગરિકોએ સતર્કતા દાખવી પોલીસ, એજન્સીઓને જાણ કરતાં આ ડ્રોનને ખાસ સુરક્ષા સિસ્ટમથી તોડી પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, હાલમાં ઉદ્યોગો અને પાવર પ્રોજેક્ટથી કચ્છનો સરહદી વિસ્તાર ધમધમતો થયો છે ત્યારે સુરક્ષા એજન્સીઓ સાથે જ સ્થાનિક રહીશો રાત-દિવસ સતર્ક હોવાનો ઘટનાક્રમ પાકિસ્તાનની નાપાક હરકતને પરાસ્ત કરનારો બન્યો છે. 


comments powered by Disqus