ભાવનગરઃ પહલગામમાં આતંકીઓએ ભાવનગરના પિતા-પુત્ર સહિત 26 પર્યટકોને ધર્મ પૂછીને હત્યા કર્યાની ઘટનાના પડઘારૂપે ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી બદલો લીધો છે. ‘ઓપરેશન સિંદૂર’ બાદ આતંકી હુમલામાં વીરગતિ પામેલા ભાવનગરના પિતા-પુત્રને ન્યાય અને શ્રદ્ધાંજલિ મળ્યાની હતભાગી પરિવારે લાગણી વ્યક્ત કરી છે.
પહલગામની આતંકી ઘટનામાં મૃત્યુને ભેટેલા ભાવનગરના યતીનભાઈ પરમારનાં પત્ની કાજલબહેને ભારતીય સેનાએ મધરાત્રે પીઓકેમાં ઘૂસી આતંકીઓ પર કરાયેલી સૈન્ય કાર્યવાહીને બિરદાવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મારા પર જે દુઃખ આવ્યું છે, એ દેશની કોઈ મા-બહેન પર ન આવે. સેનાએ જે પરાક્રમ કરી પહલગામનો બદલો લીધો છે, તેનાથી ખૂબ શાંતિ મળી છે. સેનાના શૌર્ય પર ગર્વ છે. જ્યારે તેમના પુત્ર અભિભાઈએ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રશંસા કરી આતંકવાદીઓને તેમના જ ઘરમાં ઘૂસી સેનાએ જડબાતોડ જવાબ આપ્યાની ઘટના અંગે ગર્વ અનુભવ્યો હતો. તેમણે કહ્યું કે, આતંકી હુમલામાં મેં મારા પિતા અને ભાઈ ગુમાવ્યા છે. એ લોકોએ ધર્મ પૂછીને માર્યા હતા, ભારતીય સેનાએ ધર્મ કહીને નરકમાં મોકલી દીધા છે. સેનાના પરાક્રમી સાહસથી મારા ભાઈ અને પિતાને 15 દિવસ બાદ સાચી શ્રદ્ધાંજલિ મળી છે, તેમના આત્માને શાંતિ મળી હશે.