સુરતઃ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને સુરતના 20 લાખ મીટર કાપડના ઓર્ડર કેન્સલ થયા છે. હુમલાને પગલે પ્રવાસીઓની સંખ્યા ઘટવાની શક્યતાને લઈને કાશ્મીરના સ્થાનિક વેપારીઓ દ્વારા ઓર્ડર કેન્સલ કરાયા છે. પહલગામમાં આતંકીઓ દ્વારા ગોળીબાર કરીને 26 જેટલા લોકોની હત્યા કરાઈ હતી, જેને લઈને કાશ્મીરના ટૂરિઝમ પર ખૂબ જ મોટી અસર થઈ છે. કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને કાશ્મીરમાં ફરવા જવાનો પ્લાન બનાવનારા લોકો દ્વારા પોતાનું પ્લાન કેન્સલ કરાયો છે. પ્રવાસીઓની સંખ્યા ઘટતાં સ્થાનિક લોકોની આવક પણ ઘટશે, જેની અસર વેપાર પર પડશે. જેને લઈને કાશ્મીરના વેપારીઓ ટેક્સટાઇલ પ્રોડક્ટના ઓર્ડર પર તાત્કાલિક બ્રેક મારી છે. સુરત શહેરમાંથી દર મહિને અંદાજિત 25 લાખ મીટર કપડું કાશ્મીરમાં જાય છે. જેમાં ડ્રેસ, કુર્તી, સલવાર સૂટ અને સાડીઓના ટેક્સટાઇલ પ્રોડક્ટ હોય છે.