પાકિસ્તાન પાસેથી PoK આંચકી લેવાનો સમય આવી ગયો છેઃ સોફિયાના પિતા

Wednesday 14th May 2025 07:49 EDT
 
 

વડોદરાઃ ઓપરેશન સિંદૂર અંગે ભારત વતી દેશને જાણકારી આપનાર ભારતીય સેનાનાં કર્નલ અને વડોદરાનાં રહેવાસી સોફિયા કુરેશી તરફ આખા દેશનું ધ્યાન ખેંચાયું હતું, ત્યારે તાંદલજા વિસ્તારમાં રહેતા તેમના પરિવારના ચહેરા પર પણ ભારતે પાકિસ્તાન પર કરેલી સ્ટ્રાઇકની ખુશી ઝલકતી હતી.
કર્નલ સોફિયા કુરેશીના પિતા તાજ મોહંમદ કુરેશી કહે છે કે, અમારા પરિવારની ત્રીજી પેઢી સેનામાં છે. મારી પુત્રી જે પણ કરી રહી છે તે રાષ્ટ્ર માટે કરી રહી છે. આપણે હિન્દુ અને મુસ્લિમ કરતા પહેલાં ભારતીય છે તે યાદ રાખવું જોઈએ. સોફિયાને જ્યારે ભારતીય સેનામાં જોડાવું હતું ત્યારે તેણે મને પૂછયું હતું કે, પહેલા દાદા અને પછી તમે સૈનામાં ફરજ બજાવી ચૂક્યા છો, તો હવે ઘરમાંથી હું સેનામાં ભરતી થઉં? મેં તરત જ તેને હા કહી દીધી હતી. અમારી ત્રીજી પેઢી સેનામાં છે તેનું મને ગર્વ છે. આજે ભારતે પાકિસ્તાન પર જે રીતે હુમલો કર્યો છે તે જોઈને થાય છે કે, મારા પરિવારનો જે હેતુ હતો તે પૂરો થયો છે. પાકિસ્તાન જેવા કાયર દેશ અંગે કશું પણ કહેવું બેકાર છે. હવે ભારતે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર આંચકી લેવાનો સમય આવી ગયો છે ત્યાંના લોકો પણ આપણા છે અને તેમને મુક્ત કરાવવાની આપણી ફરજ છે. મને આશા છે કે, પીએમ મોદીના કાર્યકાળમાં જ સેના આ મિશન પણ પૂરું કરશે.
MS યુનિવર્સિટીમાં M.sc. બાદ સેનામાં જોડાયાં
કર્નલ સોફિયાના પિતા તાજ મોહંમદ કુરેશી મૂળે મધ્યપ્રદેશના ખજૂરાહોના છે. તેઓ પણ આર્મીમાં ફરજ બજાવતા હતા. 1981માં તેમનું પોસ્ટિંગ ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ ખાતે ઈન્સ્ટ્રક્ટર તરીકે થયું હતું. એ પછી તેઓ કાયમી ધોરણે વડોદરામાં વસી ગયા હતા. સોફિયા કુરેશીનો જન્મ વડોદરામાં થયો હતો. વડોદરાની કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ બાદ સોફિયા કુરેશીએ એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી બીએસસી, કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યા બાદ બાયો કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટથી એમ.એસસી.ની ડિગ્રી મેળવી હતી. એમ.એસસી. કર્યા બાદ તેમની પસંદગી શોર્ટ સર્વિસ કમિશન થકી ભારતીય સેનામાં થઈ હતી. તેઓ હાલમાં સેનાની સિગ્નલ કોર્પ્સમાં ફરજ બજાવી રહ્યાં છે. તેમના પતિ તાજુદ્દીન કુરેશી પણ ભારતીય સેનામાં મેજર છે.
સોફિયા ગુજરાતી પણ કડકડાટ બોલે છે
સોફિયાના પિતા તાજ મોહંમદે વધુમાં કહ્યું કે, મને વડોદરામાં પોસ્ટિંગ મળ્યા બાદ બીજી જગ્યાએ પણ ટ્રાન્સફર થયું હતું. જો કે મેં પરિવાર સાથે વડોદરામાં જ રહેવાનું પસંદ કર્યું હતું. મને ગુજરાતી બરાબર નથી આવડતું પણ સોફિયા કડકડાટ અને ઘણંુ સારું ગુજરાતી બોલી શકે છે. તેણે વડોદરામાં ઘર લીધું છે.
કર્નલ સોફિયાને સેવૈયા, ઇડલી, ઢોકળાં ભાવે છે
કર્નલ સોફિયાના એમએસ યુનિવર્સિટીમાં સહાધ્યાયી રહી ચૂકેલા અને હાલમાં બાયોકેમિસ્ટ્રી વિભાગના પ્રાધ્યાપક ડો. દેવેશ સુથારે કહ્યું કે, તેમની સાથેનો અમારો સૌથી સારો સમય લન્ચ ટાઇમ હતો. તેમને સેવૈયા ખૂબ ભાવતાં હતાં, તેથી ડબા ભરીને અમારા માટે પણ લાવતાં હતાં. વિદ્યાર્થી તરીકે તે ખૂબ મિલનસાર સ્વભાવનાં અને તેજસ્વી હતાં. તેમનાં પાડોશી ફાતિમાબેન પરાસરે કહ્યું કે, તેમનો પરિવાર અમારો પાડોશી છે અને મારી પુત્રી તેની બહેનપણી છે. તેને સેવૈયા ઉપરાંત ઈડલી-ઢોકળા ભાવતા હતા.
સોફિયા દૃઢનિશ્ચયી
જિનેટિક એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી ચૂકેલા સોફિયાના ભાઈ મોહંમદ કુરેશીએ કહ્યું કે, સોફિયા એક વખત જે કામ હાથમાં લે તે પૂરું કર્યા વગર રહેતી નથી. સોફિયાને કોંગો સહિતના દેશોમાં પીસ કીપિંગ ફોર્સમાં ફરજ બજાવ્યા બાદ યુએન તરફથી નોકરીની ઓફર હતી, પરંતુ આર્મી પ્રત્યેના પ્રેમના કારણે આ ઓફર તેણે ઠુકરાવી હતી. તે વખતે મહિલા ઓફિસરો માટે આર્મીમાં નોકરીનો સમયગાળો ઓછો હતો. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે મહિલા અને પુરુષ અધિકારીઓને સમાન ગણવા માટે આપેલા ચુકાદામાં પણ સોફિયા કુરેશીનો ઉલ્લેખ કર્યો છે. સોફિયા બાયોકેમિસ્ટ્રીમાં માસ્ટરની ડિગ્રી મેળવ્યા બાદ પીએચડી કરવાની હતી પરંતુ નિર્ણય બદલીને તે ભારતીય સેનામાં જોડાઈ હતી. પાકિસ્તાન અંગે સોફિયાના ભાઈનું કહેવું હતું કે, ભારતે સંદેશ આપી દીધો છે કે ભારત સામે પાકિસ્તાન નજર ઉઠાવીને જોશે તો તેની આંખો કાઢી લેવામાં આવશે.
મારે પણ આર્મીમાં જવું હતુંઃ સોફિયાની બહેન
કર્નલ સોફિયા કુરેશીની સાથે તેમનાં જોડિયા બહેન સાનિયા પણ આર્મીમાં જવાની તૈયારી કરતાં હતાં. જો કે શોર્ટ સર્વિસ કમિશનની ફિઝિકલ ટેસ્ટમાં વજન ઓછું પડતાં તે આર્મી જોઇન કરી શક્યાં નહોતાં. સાનિયા કુરેશી (સુનસારા) હાલમાં મુંબઈના બોલિવૂડમાં જાણીતાં મોડેલ છે. તેઓ 2017માં મિસ ઇન્ડિયા અર્થ પણ બન્યાં હતાં. અભિનન્ય સંકળાયેલાં સાનિયાનું પ્રોડક્શન હાઉસ પણ છે. તેમણે ટેલિફોનિક વાતચીતમાં કર્નલ સોફિયા વિશે કહ્યું કે, તે મારાથી 15 મિનિટ મોટાં છે. અમારો ઉછેર, અમારા વિચારો અને અમારી ઇચ્છા બધું એક જ હતું. મારે પણ આર્મી જોઇન કરવી હતી. પણ એ સમયે મારું વજન 36 કિલો જ હતું. સાનિયાએ કહ્યું કે, અમારા ઘરમાં દાદીમા વાર્તા પણ યુદ્ધોની અને વીર જવાનોની, રાણી લક્ષ્મીબાઈની કરતાં હતાં. એટલે સ્વાભાવિક હતું કે, અમે આર્મીમાં જ જવા ઇચ્છતાં હતાં. એરસ્ટ્રાઇકના ન્યૂઝ બાદ મને સવારે લોકોના ફોન આવ્યા ત્યારે
મને જાણ થઈ હતી.


comments powered by Disqus