જૂનાગઢઃ પૂર્વ આરોગ્યમંત્રી અને જનસંઘના સ્થાપનાકાળથી કાર્યકર તરીકે જોડાયેલાં હેમાબહેન આચાર્યનું 11 મેએ 93 વર્ષની વયે નિધન થયું. ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી હેમાબેન 1975-80માં તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં આરોગ્યમંત્રી હતાં. ઉપરાંત જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખપદે પણ તેઓએ આપેલી સેવાઓ અવિસ્મરણીય છે.
રાજ્યના આરોગ્યમંત્રી બનવા સુધીની સફર હેમાબહેન આચાર્યએ ખૂબ સફળતાપૂર્વક નિભાવી હતી. 1975 થી 80 ના અરસામાં જૂનાગઢના ધારાસભ્ય તરીકે રહેલાં હેમાબહેને રાજ્યના આરોગ્યમંત્રી તરીકે સુંદર કામગીરી કરી હતી. તેમના કાર્યકાળમાં જૂનાગઢ હોસ્પિટલનો સુવર્ણયુગ હતો.
હેમાબહેન આચાર્ય સ્વભાવે એકદમ મૃદુ હતાં, પરંતુ કોઈપણ વિષયને લઈને વડાપ્રધાન મોદી સુધીના વ્યક્તિઓને પોતાનો ગમો કે અણગમો એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહી દેતાં હતાં. એક સ્પષ્ટ વક્તા તરીકે હેમાબહેન સદાય યાદ રાખવામાં આવશે. તેમના કજીવનકાળ દરમિયાન અનેક રાજકીય વ્યક્તિઓની સાથે તેમની બેઠક હતી.