શિવરાજપુર બીચ બન્યો પ્રાઇમ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન

Wednesday 14th May 2025 07:49 EDT
 
 

દ્વારકાઃ પ્રવાસન યાત્રાધામ દ્વારકામાં છેલ્લા દોઢ દાયકામાં થયેલાં વિકાસકાર્યોનો લાભ આ વિસ્તારના ટૂરિઝમ ઉદ્યોગને મોટો ફાયદો થઈ રહ્યો છે. પહેલા જ્યારે વર્ષમાં ચાર મહિના યાત્રાળુઓની સિઝન ચાલતી હતી, જે હવે લગભગ દસ મહિનાથી બારેમાસ ચાલે છે. જેમાં ખાસ કરીને શિવરાજપુર બીચ ટૂરિસ્ટો માટે પ્રાઇમ ડેસ્ટિનેશન તરીકે ખીલ્યો છે.
કોરોના કાળ બાદથી યાત્રિકોનો વ્યાપક ધસારો દ્વારકા ક્ષેત્રમાં રહ્યો છે. શુક્ર-શનિ-રવિના વીકએન્ડમાં હાઉસફુલની સ્થિતિ રહે છે. ફુલદોલોત્સવમાં એક સપ્તાહમાં જ લાખો ભાવિકો ઊમટ્યા હતા. ફાગણ માસ બાદ પવિત્ર ચૈત્ર અને વૈશાખ માસમાં સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ખૂબ ઊંચો રહ્યો છે, ત્યારે પ્રમાણમાં આહલાદક વાતાવરણ ધરાવતા ઓખામંડળના 30 ડિગ્રી આસપાસના વાતાવરણ સાથે યાત્રાધામ તેમજ દરિયાકિનારાની સફર માણવાનું લોકો પસંદ કરી રહ્યા છે.
દ્વારકા આસપાસના જામનગર, કેશોદ, રાજકોટ વગેરે એરપોર્ટ ધમધમવા લાગતાં તેમજ લાંબા રૂટની ટ્રેનોની ફ્રીકવન્સી વધતાં દ્વારકાનો પ્રવાસ ખેડવાનું લોકો પસંદ કરી રહ્યા છે.
શિવરાજપુર બીચ ખાતે એડવેન્ચર પ્રવૃત્તિઓ
શિવરાજપુર બીચ ખાતે ક્રમશ: વિકાસ તેમજ સ્કૂબા ડાઇવિંગ, પેરાસીલિંગ, વોટર સ્પોર્ટ્સ સહિતની સુવિધા વધતાં પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે. આ ઉપરાંત કાચ જેવા શુદ્ધ પાણી ધરાવતા રમણીય બ્લૂ ફલેગ બીચની મજા માણવી એ જીવનનો એક લહાવો હોવાથી પણ શિવરાજપુર બીચ સહેલાણીઓ માટે પ્રાઇમ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યો છે.


comments powered by Disqus