સુરતઃ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ મંગળવારે રાત્રે સીમા પાર ભારતીય સેના દ્વારા આતંકી કેમ્પ પર હુમલો કરી તેનો ખાત્મો બોલાવી દીધો. ત્યારે સુરતથી આતંકવાદનો ભોગ બનનારા શૈલેશ કળથિયાનાં પત્ની શીતલ કળથિયાએ કહ્યું કે, ‘હવે મારા પતિના આત્માને શાંતિ મળશે. મને આપણી સરકાર પર પૂરો ભરોસો છે. સેનાએ આતંકવાદીઓને શોધી શોધીને તેમના અડ્ડા પર જઈને માર્યા છે આ જાણીને મારા પતિના આત્માને શાંતિ મળી હશે. તેમની સાથે જે અન્ય લોકોના જીવ ગયા છે તેમના આત્માને પણ શાંતિ મળી હશે. હું સરકારને અપીલ કરું છું કે, જે રીતે મહારાષ્ટ્ર સરકારે ભોગ બનનાર પરિવારને સહાય કરી છે તે રીતે ગુજરાત સરકાર પણ પીડિતોને સહાય કરે, જેનાથી અમારાં બાળકોને ન્યાય મળે, તેમનું ભવિષ્ય અંધકારમય ન બને.’
નોંધનીય છે કે, આતંકવાદી હુમલામાં શૈલેશભાઈએ જીવ ગુમાવ્યો હતો. તેમના મૃતદેહને સુરત લાવવામાં આવ્યો ત્યારે તેમનાં પત્ની શીતલ કળથિયાનો ગુસ્સો ફૂટી પડ્યો હતો. શીતલબહેને અંતિમયાત્રામાં આવેલા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આતંકી હુમલો થયો હતો ત્યારે સરકાર અને સૈન્ય શું કરતી હતી તેવા અણિયાળા પ્રશ્નો પૂછયા હતા.