પોરબંદર: પોરબંદરના સૂરજ પેલેસ બંગલા ખાતે ત્રણ વ્યક્તિઓને રૂ. 70 લાખની લેતી-દેતી અંગે ગોંધી રાખવાના ગુનામાં હીરલબા જાડેજાના વધુ રિમાન્ડની માગણી ફગાવી દેવાઈ હતી અને તેમને જૂનાગઢ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયાં છે.
મૂળ કુછડી અને હાલ ઇઝરાયલ રહેતાં લીલુ ઓડેદરાએ તેના પૂર્વ પતિ, પુત્ર અને પિતાને હીરલબા જાડેજાએ સૂરજ પેલેસ બંગલે ગોંધી રાખવા અંગે વીડિયો વાઇરલ કર્યો હતો. તેમાં રૂ. 70 લાખની લેતીદેતી કારણભૂત હોવાનું જણાવ્યું હતું.
આ બનાવમાં પોલીસે હીરલબા જાડેજા અને તેમના બે સાગરીતની ધરપકડ કરી હતી. હીરલબાને અગાઉ બે દિવસના રિમાન્ડ પર લીધાં ત્યારે તબિયત લથડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયાં હોવાથી પૂરતા પ્રમાણમાં પૂછપરછ થઇ શકી નહોતી, તેથી તેઓ સ્વસ્થ થયા બાદ પોરબંદર લવાતાં વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આ રિમાન્ડ શુક્રવારે પૂર્ણ થતાં પોલીસે વધુ રિમાન્ડની માગ સાથે તેમને કોર્ટમાં રજૂ કર્યાં હતાં, જો કે કોર્ટે વધુ રિમાન્ડની અરજી ફગાવી હતી.