કાશીમાં મોરારિબાપુની રામકથાનો વિરોધઃ વિરોધીઓ સામે ઇન્દ્રભારતી બાપુ લાલઘુમ

Wednesday 18th June 2025 06:19 EDT
 
 

કાશીઃ 3 દિવસ પહેલાં કાશી (બનારસ)માં મોરારિબાપુની રામકથાનું આયોજન કરાયું હતું. જો કે બાપુનાં ધર્મપત્નીનું થોડા દિવસો પહેલાં જ નિધન થયું હોવાથી બનારસના કેટલાક સાધુ-સંતોએ સૂતકનો મુદ્દો ઉપાડીને રામકથાનો વિરોધ કરી નિવેદનો આપ્યાં હતાં.
આ સામે શ્રી પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જૂનાગઢ ગિરનાર મંડળના પ્રમુખ ઇન્દ્રભારતીબાપુએ વિરોધ કરનારાઓને સણસણતો જવાબ આપતાં કહ્યું હતું કે, સનાતન ધર્મમાં કોઈપણના મૃત્યુ પછી રામકથા કરવાની હોય, ભજન કરવાનાં હોય, ભગવાન ભોળાનાથની સેવાપૂજા કરવાની હોય છે. મોરારિબાપુ પણ રામકથા યોજીને ભજન જ કરી રહ્યા છે. રામકથાનો વિરોધ કરનારા સનાતન ધર્મના વિરોધી છે. તેઓને એટલું જ કહેવાનું કે કોઈ પણ સનાતનીનું મૃત્યુ થાય ત્યારે ભજન તે જ શ્રેષ્ઠ માર્ગ છે. મૃત્યુ પછી ડિસ્કો ન કરવાનો હોય. મોરારિબાપુની કથાનું ઘણા સંતો અને બનેલા શંકરાચાર્યોએ વિરોધ કર્યો છે, જે યોગ્ય નથી.
બાપુનાં પત્નીનું અવસાન થયું તેના ત્રીજા દિવસે તેઓ કાશી પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભગવાન કાશીવિશ્વનાથનાં દર્શન કર્યાં ત્યારે પણ વિરોધ કર્યો હતો. ભગવાન ભોળાનાથ તો સ્મશાનના વાસી છે, તેમને કોઈ સૂતકસ્નાન હોતાં નથી. અમે ચાર પીઠ સિવાય કોઈને શંકરાચાર્ય માનતા નથી. અમે જૂના અખાડાના નાતે વિનંતી કરીએ છીએ કે કોઈ સંતો વિરોધ ન કરે, કારણ કે આ વિરોધનો પ્રશ્ન નથી, આ તો બોધક છે એટલે કે સમાજને બોધ આપે છે. તેઓ પરિવારથી અલગ કુટિરમાં રહીને ભજન કરે છે. તેમની પાસે બેસો, તેઓ શું છે તે સમજો. કોઈની બકવાસ કરવી યોગ્ય નથી. સૂતક છે સ્નાન છે તે કહેવું યોગ્ય નથી.
મૃત્યુ બાદ ડિસ્કો નહીં ભજન જ થાય, તો પછી તેનો વિરોધ કેમ થાય છે? આ બધા ભગવા પહેરીને બેઠા છે એટલે તેઓએ ધ્યાન રાખવું જોઈએ. ભગવો પહેર્યો છે તેનું માન જાળવવાનું છે. તે મારા પિતાતુલ્ય છે, તેમજ સંતો પણ વંદનીય છે. તેથી મોરારિબાપુ વિરુદ્ધ કોઈ ટિપ્પણી ન કરવા કાશીવાસીઓને અમારી વિનંતી છે. જે રામકથા ચાલી રહી છે તેમાં આહુતિ આપે, હવનમાં હાડકાં નાખવાનું કામ ન કરે. આ સમયે મોરારિબાપુને પ્રોત્સાહન અને દિલાસો આપવાના બદલે તેમના વિરોધીઓ ખોટું કૃત્ય કરી રહ્યા છે.


comments powered by Disqus